ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢ્યા કાઠા

પાણી જયારે પર્વત પરથી વહી જતું હોય ત્યારે રસ્તામાં પથ્થરો અને કેટલીયે અડચણો આવે. પણ પાણી જ્યાં જગ્યા મળે ત્યાં શોધીને, ખાડો પાડીને ધીમે ધીમે આગળ વધતું જ જાય. પર્વત પરથી પડતા પાણીને ક્યારેય રોકી શકાય નહિ. તમે એક જગ્યાએથી રોકો તો એ બીજી જગ્યાએથી રસ્તો કરે પણ પાણી પોતાનો રસ્તો કરી જ લે, આડો અવળો, વાંકોચૂકો પણ અંતે એની ગતિ હંમેશા આગળ વધવાની જ હોય છે.

આવા જ પ્રકારના માણસો પણ હોય છે. હકીકતે માનવો વિજ્ઞાનની દ્રષ્ટિએ હોમોસેપિયન્સ, બિલકુલ આવા જ, રસ્તો શોધવાવાળા છે. ક્રિયેટીવીટી એ માનવોનું સહુથી ધારદાર શસ્ત્ર છે. આપણે લોકો એટલા બધા ક્રિયેટિવ છીએ કે એ અજોડ સદગુણ છે. ક્રિયેટિવિટીનું એક પ્રકાર છે રસ્તો શોધવો.

આપણે અમદાવાદથી વડોદરા જવું હોય અને જો એસ.ટી. બસો બંધ થઇ ગઈ હોય તો તરત જ આપણે એવું વિચારવા લાગીએ કે બીજો રસ્તો શું છે? તરત જ આપણને ટ્રેન યાદ આવે, અથવા તો ગાડી ભાડે લઈને પણ જતા રહીએ. પણ ટ્રેન કે ગાડી ભાડે મળવાની શક્યતા ના હોય તો? હવે જો જવું જ પડે એવું હોય તો આપણે કરીએ શું? આ પરિસ્થતિમાં દરેક જણ અલગ અલગ પ્રકારે વર્તે છે. પણ એ બધાના મૂળમાં ક્રિયેટિવિટી છે. તમે શું રસ્તો પસંદ કરો છો અને કેટલો ઝડપથી પસંદ કરો છો એ તમારી મરજીની વાત છે. મારે વડોદરા તો જવું જ હતું. તો પછી સ્કુટરમાં (બજાજ સુપર) પેટ્રોલ ફૂલ કરી દીધું અને માથા પર મફલર બાંધીને નીકળી પડ્યા. એટલે એમાં એવું છે કે તમે રસ્તો કેવો શોધો છો એ ક્રિયેટિવિટી દર્શાવે છે.

અને આપણી આ ખૂબી એવી છે કે આપણે એવા એવા રસ્તાઓ બખૂબી શોધી કાઢીએ કે આપણને આશ્ચર્ય થાય કે આપણે આવું સરસ શોધી કાઢ્યું? તમારી સામે પ્રશ્ન રજુ કરવામાં આવે એટલે મન એટલી ઝડપથી  એના રસ્તાઓ શોધવા મચી પડે અને મનોમન એની કાચી રૂપરેખા તૈયાર પણ કરી નાખી હોય. કોઈ પૂછે તો પક્કે પાયે શબ્દોમાં વર્ણન કરતા હજુ વાર લાગે પણ મને સબકોન્શિયસલી આખેઆખી ડિઝાઈન કરી નાખી હોય.

અને પર્વત પરથી સરતા પાણીની જેમ મન જાત જાતના રસ્તાઓ શોધી કાઢે. આપણે ગણિતના દાખલામાં ભણવામાં આવતું હતું એમ કે ત્રણ આંકડાનો ઉપયોગ કરો તો જુદા જુદા કેટલા નંબરો બનાવી શકાય? તે એ બધાજ નંબરો (એટલેકે શક્યતાઓ)ને આપણે પળવારમાં તપાસી લીધી હોય અને મારો અનુભવ તો એવો છે કે આપણે એક ખૂણામાં કાગળ-પેન લઈને બેસીએ તો જેટલી શક્યતાઓ વિચારી હોય એનાથી વધુ સારો બીજો ઉપાય પણ મળી જાય.

તમારે રોજે-રોજ હજારો ઉદાહરણો જોવા મળે. આજે દૂધ ખલાસ થઇ ગયું છે, તો નેસકોફી પી લઈશું. બેંકમાં નવો કાયદો આવ્યો છે કે તમારે નોકરીનું સર્ટીફીકેટ આપો તો જ ખાતું ખોલી આપીશું. તો સર્ટીફીકેટ કઈ રીતે લઈશું અથવા તો મેનેજર જોડે ઓળખાણ કે પછી બેંક જ બીજી કરી નાખીએ કે પછી કાયદાના અર્થઘટનની બીજી બાજુ બતાવવી….એમ તમે કેટલીયે શક્યતાઓ તપાસીને ખાતું ખોલાવી તો દો જ.

આમારા કોમ્પ્યુટર સાયન્સના ડો. વિમ્સની વાત છે. એ અમારા એડવાઈઝર, અને એવું નક્કી કરે કે આમારે કયા વિષયો લેવા. અને દરેક વિષયની એટલી બધી ફી હોય કે જે વિષય કમ્પલસરી ના હોય એ અમે છોડી દેવાનો પ્રયત્ન કરીએ. એમાં એક “ઓપરેટીંગ સિસ્ટીમ” કરીને વિષય હતો જે કમ્પલસરી હતો. અને મારે લેવાની ઈચ્છા હતી નહિ. તે ડો. વિમ્સને મળીને મેં એવું કહ્યું કે મારે કાઉન્ટી કોલેજમાં એક ઓપરેટીંગ સિસ્ટમનો વિષય લેવો છે. તે ડો. મને કહે કે એમાં શું, ઘણી સરસ વાત છે. લઇ લે, મને કેમ પૂછે છે? તે મેં કહ્યું કે એવું કરીને હું આપણી યુનિવર્સીટીનો વિષય સ્કીપ કરવા માંગું છુ. તે ડો. વિમ્સને તરત ખયાલ આવ્યો, કે એવું ચાલે જ નહિ. અને મેં એ વિષય લઈ પણ લીધો.

પણ આમાં વાત એમ છે કે આપણે યેન-કેન પ્રકારે નવા નવા નુસ્ખાઓ શોધી કાઢીએ છીએ. અંગ્રેજીમાં આને આ લોકો “આઉટ ઓફ બોક્ષ્” વિચારસરણી કહે છે જેમાં આપણે રોજે-રોજની રૂઢિગત, પ્રણાલિકાગત વિચારસરણીને બદલે નવીન રસ્તો શોધીએ.

અને એ વાતેય ખોટી નથી. તમે જેટલા વધુ અને નવા (ક્રિયેટિવ) વિચારો અમલમાં મુકો એટલી પ્રગતિ વધુ થઇ શકે એવી શક્યતા ખરી.

ક્રિયેટિવિટીના ઉદાહરણો જુવો તો એની ક્યાય કોઈ કમી નથી. ચારે બાજુ તમને જાત જાતના ક્રિયેટિવ ફંડા જોવા મળશે. એક વસ્તુ નથી થતી તો બીજું કરો. “હોઠ સજા તો ઉત્તર ઝાઝા” “આગે આગે ગોરખ જાગે”. એક દરવાજો બંધ થયો છે તો બીજી બારી ખુલે છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે અને ઘણી દુનિયા ડૂબી જશે તો અમુક લોકો સૈબીરીયા અને બીજા ઠંડા પ્રદેશોમાં વસવાના સપના જુએ છે. પૃથ્વી પર જગ્યા નથી તો માનવો ચંદ્ર પર અને મંગલ પર વસશે. ખુબ ગરમી પડે છે તો એ.સી. લાવી દઈશું. આ બધી તો રાજ બરોજની વાતો છે જેના ઉપાયો લગભગ નક્કી હોય. પણ અમુક વાર તો આપણે એવી અજબ ક્રિયેટિવિટી જોવા મળે કે સલામ કરવાનું મન થાય. એવા વિચારો આવવા એ જ અદ્ભુત ઘટના કહેવાય. સ્ટીવ જોબ્સે શોધેલું આઈ-પેડ કે પછી આકાશમાંથી પાછુ ઉતારી શકે એવું ડિસ્કવરી યાન.

એક વાર પ્રેશર કુકરમાં મારા માસી ઢોકળા બનાવતા હતા તે અંદર કૈક એવું થયું કે એક નાની થાળી કુકરના ઢાંકણામાં બરોબર ચીપકી ગઈ, આમ એકદમ ફીટ. એટલે કેટલુંયે કાઢવા મથીએ પણ નીકળે જ નહિ. મેં ચમચી, સ્ક્રુ ડ્રાઈવર, બધાથી પ્રયત્ન કર્યા. એક વાર તો કુકરની વ્હીસલ કાઢીને એમાંથી ફૂંક પણ મારી જોઈ, પણ થાળી મચક આપે જ નહિ. મારો કઝીન, ત્યાં હતો એ અંદરથી હવા પૂરવાનો પંપ લઇ આવ્યોને એ કુકરની વ્હીસલના કાણામાં ભરાવીને પંપ માર્યો તે થાળી બહાર આવી ગઈ. કેટલો સરસ ઉપાય. આને ક્રિયેટિવિટી જ કહેવાય ને!

કશું પણ નવું શોધી કાઢો, નવીન પ્રયોગ કરો જેનાથી કૈક નવું જાણવા, શીખવા કે પ્રગતિ કરવા મળે. એવી વાતોનો અખૂટ ખજાનો આપનામાં છુપાઈને પડ્યો છે. આપણે એને શોધીને બહાર લાવવાનો છે. ક્યારેક આપણે આપની પોતાની જાત પર જ ગર્વ અનુભવીએ કે અમુક પરિસ્થિતિમાં કેવો સુંદરતમ ઉપાય શોધી કાઢ્યો છે. અને આવા ઉપાયો શોધવા માટે આપણે ખુબ જ હાઈ આઈકયું વાળા હોવાની જરૂર નથી. જે લોકો અત્યંત વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હોય એવા જ લોકો ક્રિએટિવ હોય એવું જરૂરી નથી. હકીકતે ક્રિયેટિવિટી અને તમારા સ્કુલના રિઝલ્ટને કોઈ જ સંબંધ નથી. વાસ્તવમાં તો જે વ્યક્તિ પોતાની ક્રિયેટિવિટીને પીછાણી એના પર કામ કરે એ સહુથી વધુ હોશિયાર કહેવાય.

લોકો ક્રિયેટિવિટીના પ્રયોગો કરીને એવા કેવા રસ્તાઓ શોધી કાઢે છે એ જોઈને આશ્ચર્યમાં પડી જવાય. આ પ્રકારની પ્રગતિ ખરેખર કુદરતમાં પણ જોવા મળે છે. કુદરતમાં બેક્ટેરિયા આંખોથી જોઈ પણ ના શકાય એવા જંતુઓ છે પણ એ જીવાણુઓ દર વર્ષે કેવા કેવા કડક રસાયણો સામે પ્રતિકારક શક્તિ મેળવી લે છે. આપણું શરીર પણ જેવો પ્રદેશ હોય એની સામે જરૂરી પ્રતિકારકતા મેળવી લે છે.

આપણી આ ખૂબીને વાપરવી કઈ રીતે? આપણે જે કામ કરવું છે એ તરત શોધી લેવું અને તરત કરવું તો આપણે જે કરવા માંગતા હોઈએ છીએ એ મેળવી શકીએ. પણ મારે એવું થાય કે ખરેખર મને શું ગમે છે એની ખબર જ નથી પડતી. તો પછી શું કરવું? એ કેસમાં એવું કે તમને જે ફાવે છે, સહેજ પણ જેની ઈચ્છા છે એ કામ ચાલુ કરી દેવું, ધીમે ધીમે, આપણને ખરેખર શું ગમે છે એ આપણે શોધી કાઢીશું.

Posted in Uncategorized | Leave a comment

શું વાત કરો છો?

આપણે ધારોકે બધા ભાઈબંધો બેઠા હોય અને એમાંથી એકાદ જણ ઉઠીને આપણને લાફો મારી દે તો? તો આપણે શું કરીએ? પહેલા તો ખુબ જ ગુસ્સે થઇ જઈએ અને પછી એને સામે મારવાની, પાંસરો કરવાની તૈયારી કરીએ.

તે એક વાર એવું થયું. એક વાર અમે બધા મિત્રો જોડે બેઠા હતા અને શું થયું તે ભયંકર હંસી-મજાકો ચાલુ થયા. જેને જે મન ફાવે એ બોલે. તો કોકે વળી એવી વાત કાઢી કે સહુથી સારામાં સારી રીતે વેકેશન કઈ રીતે માણી શકાય? તે દરેક જણ પોતાના અભિપ્રાયો જણાવે. તે વાત એમ થઇ કે અમીષ નાણાવટી એક હતો તે એ આમેય ઝટ કળી શકાય એવો નહિ. તે એની વાત સાંભળીને ધીમે ધીમે વાતોનું ફોકસ અમીષ થઇ ગયો. બધા એના પર એવા તૂટી પડ્યા અને એવી મજાકો ઉડાવી. તે અમીષ અંદર ખાનેથી સહેજ અકળાયો પણ ખરો. અને એ ય ઉશ્કેરાઈને જવાબો આપવા માંડ્યો. એને જાણે એવું લાગ્યું કે કોઈએ એને સીધો લાફો જ માર્યો છે.

હકીકતે આ લાક્ષણિકતા આપણા જીન્સમાં જ સંગ્રહાયેલી છે. તમને જો કોઈક કશુક કહે તો તમે એવું વિચારો કે હકીકતે આ તમારા પર થયેલો હુમલો છે. એટલે આપણે એની સામે લડવા માટે તૈયાર થઇ જઈએ.

એક વાર મને ભદ્રેશે આવીને એવું કહ્યું કે મારે ડોલર સ્ટોર ખોલવાની ઈચ્છા છે. તે મને થયું કે ડોલર સ્ટોર અહી કેટલી બધી કોમ્પીટીશનમાં છે? મેં એને તરત જ કહ્યું: બરાબર છે, પણ જોઈને કરજે. કોઈ પ્રોબ્લેમ ના થાય. અને જો મારું માનતો હોય તો ખરેખર રહેવા દે.

આમાં એવું છે કે કોઈ પણ વાત આપણને રજુ કરવામાં આવે એટલે મારા સહીત, નેચરલી, કેટલાયે લોકો સહુ પ્રથમ તો એનો વિરોધ જ કરી બેસે. ડીશ નેટવર્ક? ના એ ના કરશો. એના કરતા તો કેબલ સારો પડશે. અરે, ટાયરો સામ્સ ક્લબથી લીધા? શું કરવા યાર, મને પૂછ્યું હોત તો? ડિસ્કાઉન્ટ ટાયરમાં થી જ લેવાય. આપણી કોઈ પણ વાત હોય એનો વારંવાર આવો પ્રતિભાવ જોવા મળી શકે.

મૂળ વાત એમ છે કે આપણને કોઈ પણ નવો વિચાર જયારે જણાવવામાં આવે ત્યારે આપણે સહુ પ્રથમ બહુ જ બળ લગાડીને એનો વિરોધ કરી પાડીએ છીએ. અમારા એક ઓળખીતા છે એમને ખાસ્સું એવું સંશોધન કરીને એવું નક્કી કર્યું કે આપણે શોપિંગ મોલ્સમાં ચોકલેટ વેચવાની દુકાન કરીએ. હવે શોપિંગ મોલમાં ચોકલેટ વેચો તો વેચી વેચીને વકરો કેટલો થાય? તે સગાઓને મિત્રોએ એમના અભિપ્રાયો આપવાના ચાલુ કરી દીધા. કોકે કહ્યું કે ઇન્ડિયાથી ગોળી, પીપરમીન્ટ એવું બધું લાઈને વેચજો. જુઓ, કેટલુંક ચાલે છે. કોક કહે કે દેવળીયા થવાના થયા છે તે ગોરીઓ (ગોળીઓ) વેચવા હાલી નીકર્યા છે. એવું બધું.

આપણો સ્વભાવ જ મૂળે વિરોધ કરવા ટેવાયેલો હોય છે. એટલે આપણે કશુક પણ જાણીએ, જોઈએ એટલે તરત જ એમ કહી નાખીએ એ બોસ, આ તો નથી ચાલે એવું.

મનેય એવું કહેવાની ટેવ ખરી. ધારોકે કેટલુંય જોઈ વિચારીને કોઈકે સરસ એલ.જી.નું ટીવી લીધું હોય તો પણ હું એને સોનીનું ટીવી જ સારું એવું કહી દઉં. હવે આપણને એલ.જી.નું ટીવી સારું છે કે નહિ એની પક્કે પાયે ખબર ના હોય તો પણ. કોઈક આપણને એમ કહે કે સોનું ખરીદિને રોકાણ કરવું છે. તો આપણે તરત બોલી ઉઠીએ કે ભાઈ જો, સોનામાં ધ્યાન રાખજે. એના કરતા એપલ કુ.નો શેર સારો. મારો પેલો શિખર છે એની વાઈફે સોનું લીધુંને ભાવ ઉતારી ગયા. હજુ ય રડે છે…એવું બધું.

અશોક જોડે મારે બોલતા બોલતા બહુ જ બીવું પડે. અશોક આમતો મારો ખુબ જ સારો મિત્ર. મને એની સાથે સમય પસાર કરવોય ગમે. ઘણીયે વાતો થાય. પણ કોઈક વાર એવું થાય કે અમારે વાતોમાં ઓપીનીયનનો સંઘર્ષ થાય. એટલે એમાં થાય કેવું કે હું કૈક પણ બોલું કે રજુ કરું એ વાત અશોક તોડી પાડે.  એની મૂળ પ્રકૃતિ જ એવી. એટલે ધારો કે મારે એક વાર એવી વાત નીકળી કે પેલો એક કલ્પના ચાવલાનો લેખ કેટલો સરસ છે!! રિડિફ.કોમ પર કલ્પના ચાવલાની જીવન કથા જેવું મુક્યું હતું. ખુબ જ સરસ લેખ. એમાં કલ્પના ચાવલાએ છેલ્લી ઘડીએ અમેરિકા આવવાનું નક્કી કર્યું અને એના જીવનના નાના-મોટા ચડાવ-ઉતારો, એના પપ્પા પાકિસ્તાનથી ભારત આવીને કઈ રીતે એમને કારખાનું ઉભું કર્યું એવી બધી વાતો. મને તો ખુબ મઝા આવી ગઈ. એ લેખ વાંચીને મને એમ થાય કે લોકો કેવા સંઘર્ષમાંથી પસાર થઈને સિદ્ધિઓને પામે છે.

અશોકને મેં એ લેખ મોકલ્યો ને અશોકે એ લેખ વાંચ્યો. મને તો એમ હતું કે અશોકને પણ એમ થશે કે વાહ, લોકો કેવા કેવા સંઘર્ષમાંથી પસાર થઈને ક્યાં ક્યાં પહોચે છે. તે અશોક મને કહે કે એમાં શું મોટી ધાડ મારી દીધી? ઠીક છે હવે. તે આપણે તો ઓછ્પાઈ જ જઈએ. આપણને એમ થાય કે આટલી બધી સરસ ખૂબી વાળી વાતનો અશોક માટે કોઈ અર્થ નથી.

તે પછી એક વાર એવી વાત નીકળી કે આ વખતે તો ચૂંટણીમાં ઓબામા જીતી જશે. એટલે અશોક મને તરત જ કહે કે એવી શી ખાતરી? એમ તો મીટ્ટ રોમનીનું પલ્લું ય ભારે જણાય છે. હવે અશોકભાઈ દલીલ કરવામાં ખુબ જ હોશિયાર એટલે એ એમની કોઈ પણ વાત સાબિત કરી બતાવે. અથવાતો જોરદાર દલીલબાજી અને રીતસરનું વાક્યુદ્ધ ફાટી નીકળે. જોવાની ખુબ મજા આવે, દરેક જણ પોતપોતાના વિચારો નાની-મોટી દલીલો અને હકીકતો સાથે રજુ કરતા હોય.

વાતનો વિરોધ કરવો કે સલાહ આપવી એ બંને થોડી થોડી અલગ વાતો છે પણ મૂળ કન્સેપ્ટ એ જ છે. તમારી વાત સાંભળ્યા કે વિચાર્યા વગર જ એનો વિરોધ કરી નાખવો એ સલાહ આપવા કરતા ય વધારે ક્રૂર છે. પણ તો ય આપણે બધા આવું ક્યારેક ને ક્યારેક કરતા જ હોઈએ છીએ. દરેકની પર્સનાલીટી પર આધાર છે.

 

ગુરુજી એમ કહે કે બેટા સંપત્તિની જરૂર નથી, અત્યારે જ એનો ત્યાગ કર. પણ ગુરુજી એ તો સંસારનો ત્યાગ કરેલો છે. એમને પત્ની કે બાળકો નથી. એમને તો ફૂલ ટાઈમ જોબ જ ઉપદેશ આપવાની છે. ગુરુજીને ક્યારે ય છોકરાના પરિણામની ચિંતા ના હોય, એમને ક્યારે ઈલેક્ટ્રીસિટીના બિલ ભરવાની ચિંતા ના હોય…એમનો જીવન જોવાનો દ્રષ્ટિકોણ જ અલગ હોય. તો એ ત્યાગ કરવનું કહે એ આપણા જીવનમાં ફીટ કેમનું થઇ શકે?

આપણે ત્યાં તો વોરેન બુફેતને ધંધો કેમ કરવો એની સલાહ આપતા લોકો જોવા મળી જાય ખરા. ક્રિકેટ વખતે તો આવી સલાહોનો અતિરેક થઇ જાય. ક્રિકેટની સીઝનમાં દરેક જણની પ્રતિક્રિયા એવી કે જો એમને તેન્ડુલકરની જગા એ રમવા મોકલ્યા હોય તો જ ભારત જીતી શકે. કારણ કે તેન્દુલકર હવે ક્રિકેટ રમવાનું ભૂલી ગયો છે. સહુ પહેલા એને આ પાન ખાતા ભાઈ જે ટીવીમાં મેચ જુવે છે એમની પાસેથી કોચિંગ લેવાનું છે અને પછી એ જે ટેકનીક બતાવે એ રીતે રમે તો કદાચ ૧-૨ વર્ષ પછી ભારત કોઈ નાનીશી મેચમાં જીતી પડે ખરું. અને એ ભાઈ પોતે રમવા જાય તો ક્રિકેટના પિતામહો ડોન બ્રેડમેન જેવા એમના પગે પડીને કહી શકે: તમે અત્યાર સુધી ક્યાં છુપાયા હતા? વિશ્વને તમારી આ અજાયબીથી વંચિત કેમ રાખ્યું?

“આપણા આ મોદી છેને એને હવે ઘણી ભૂલો કરી છે. આ દિવાળી જુવે તો જુવે. ખરી રીતે અત્યારે જે સંગઠન ચાલ્યું છે એ જોતા આજે જુઓ, આમની સરકાર પાક્કી. બોલો કેટલાની લગાવવી છે?” નોસ્ત્રદેમાંસને પરસેવો વળી જાય એનાથી ભવ્ય આગાહીઓ આપણે ત્યાં ચા પીતાં પીતાં અધિકારીઓ કરી પાડે. પછી મોદીજીને સરકાર કેમ ચલાવવી એની સલાહો ચાલુ થાય. છેવટે અઠવાડિયા બાદ ગમે તે પરિણામ આવ્યું હોય, આ ભાઈનો એક જ શબ્દ હોય: “જો, હું નાતો કહેતો?” અને હકીકતે એમને બધું જ કહી પાડ્યું હોય. કહેવામાં શું જાય છે?

આને કારણે આપણને કશું નુકસાન જાય ખરું? એમાં એવું છે કે આપણે વાતનો વિરોધ કરીને એ વાતના જમા પાસા શું છે એ જોવાની તક ગુમાવી દઈએ છીએ. ધારોકે ડોલર સ્ટોર ખોલવાથી અને સારી રીતે મેનેજ કરવાથી આવક થતી હોય ને નોકરી પર આધાર ના રાખવો પડતો હોય તો એ વિચારને વેલકમ કહેવાને બદલે આપણે સહુ પ્રથમ તો પેલા સામાવાળા વ્યક્તિને કેમનો મહાત કરવો એ શોધવામાં પડી જઈએ છીએ. અને આવું સતત કર્યે રાખવાને કારણે આપણે લોકોના અણગમાનો ભોગ તો બનીએ છીએ સાથે સાથે કેટલીયે નવીન વાતોને કે નવા દ્રષ્ટિકોણને અવગણીએ છીએ. એમાં પછી શું થાય? તો ભાદ્રેશને જો ડોલર સ્ટોર ગમે તો એ તો ખોલવાનો જ છે પણ આપણે એ તકથી જ વંચિત રહી જઈએ.

કોઈ એમ કહે કે ફ્લોરિડામાં જાવ તો આવું કરવા જેવું છે. તો આપણે એ વાતને ધ્યાનમાં જ ના લઈએ કારણકે આપણને નવી વાત સાંભળવાનો સમય કે ઈચ્છા જ નથી. કોઈ એમ કહે કે મારે હવે પીએમપીનો કોર્સ કરવો છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ, આ કોર્સ શું કરવા લેતો હશે? એના કરતા તો વિસુઅલ બેસિક વધુ કામમાં આવે. પણ જો આપણે આ વાતના નિષ્ણાત ના હોઈએ તો આવો અભિપ્રાય આપીને આપણે પીએમ્પીને વધુ ઊંડાણમાં જાણવાની તક ગુમાવી દઈએ છીએ.

આ પ્રકારનો અભિગમ કેળવવો પડે કારણકે મને એવું લાગે છે કે કુદરતી રીતે તાત્કાલિક કોઈકની સાથે સહમત થઈને, એના અંગે વધુ વિચાર કરવો એ આપણા માનવોના જીન્સમાં નથી. એટલે આપણે એવું “open mind” રાખવાનો પ્રયત્ન કરવો પડે છે. પણ આ અભિગમ કેળવવો જરાયે અઘરો નથી. અને જો એવું ઓપન માઈન્ડ રાખીએ તો આપણે બીજી કેટલીયે વધુ પ્રગતિ કરી શકીએ. રોજે રોજ, આપણે જે ઘરેડમાં ભરાયા હોઈએ એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે.

કેટલીયે વાર આપણે અનિર્ણિત મનોદશામાં જીવતા હોઈએ છીએ. સેંકડો અને લાખો લોકો જીવનભર એવી રીતે જીવી કાઢે છે. એમને એ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. અને એ અનિર્ણિત પરિસ્થતિ જીવનની નાવને પારાવાર રીતે આમતેમ હડસેલ્યા કરે છે. આ પણ આપણું મન ખુલ્લું ના રાખવાનું જ પરિણામ છે. અને અનિર્ણિત મનોદશા એટલે જાણે તમારા મનના મકાનને ઉધઈ લાગે એના જેવી વાત છે. એ ધીમે ધીમે છુપે પગલે તમને ખોખલું કરતુ જાય અને તમને ખબરેય ના પડે.

વર્ષા પાઠકનો આ અંગેનો એક સરસ લેખ વાંચ્યો હતો: http://www.divyabhaskar.co.in/article/MAG-apani-vaat-varsha-pathak-you-are-in-my-place-2710991.html

Posted in Uncategorized | 1 Comment

ડંખ

હજુ તો હું બ્રેક મારું તે પહેલા સામેથી ટેક્ષીએ આવીને ટક્કર મારી જ દીધી. હજુ તો માંડ માંડ ગાડી ચલાવતા શીખ્યા હતા ને એક્સીડેન્ટ થઇ જ ચુક્યો હતો. પહેલો ધ્રાસકો તો એ પડે કે હવે ગાડી રીપેર કરાવીશું કેમની? અને રીપેરીંગના પૈસાનું શું? માંડ માંડ તો ગાડી લીધી હતી. બધે બધા અનુભવ તદ્દન નવા. હજુ તો એક્સીડેન્ટ થઇ રહ્યો હોય ને મન રીપેરીંગ માટે કોને કોલ કરીશું એ ય વિચારી કાઢે.

ગાડીને જેમતેમ કરીને ચલાવીને એપાર્ટમેન્ટ સુધી તો લાવીને મૂકી દીધી જેથી શાંતિથી વિચારવાનો સમય મળે. પણ હવે બીજી મુશ્કેલી: જોબ પર જવા માટે રાઈડની વ્યવસ્થા. અમેરિકા ખાતે રાઈડની વ્યવસ્થા કરાવી ઘણી જ માથાકૂટ વાળી. દરેક જણ પોતપોતાની રીતે સેટ હોય, એમની જોડેથી રોજ રાઈડની વ્યવસ્થા કરીને જોબ પર જવાનું.

અનાથીયે વધુ માથાકૂટ ગાડી રીપેર કરવાની હોય, ગાડીની કિંમત હોય એના કરતા લગભગ ત્રીસ-ચાલીસ ટકા રીપેરનો ખર્ચ આવી જાય એવુંયે બને. અને મોટાભાગે અજાણ્યા લોકોને ગાડી રીપેર કરાવવાની દુકાનવાળા બરાબરના લુંટે એવું બને. આપણને એક તો રીપેરમાં ખબર ના પડે!

તે એક મેક્કો  નામની દુકાનમાં ગયા (જે દેખાઈ ત્યાં ગયા!!). તે મને એને આઠસો ડોલરનો ભાવ કહ્યો. તે એવો તો ભારે લાગે આપણને. તે પછી ત્યાં ગાડી રીપેર કરાવી પણ નાખી. પછી તો ગાડી રીપેર કરાવી એના માસ મોટા બીલો ચુકવ્યા અને કાગળીયાની માથાકૂટ.

એક્સીડેન્ટ થયો ત્યારે રોજ એમ થાય કે થોડું ધ્યાન રાખ્યું હોત તો? સહેજ જ વાળી લીધી હોત તો! આમ સહેજ સ્ટીયરીંગ ફેરવી લીધું હોત તો? સહેજમાં ટક્કર બચાવી લીધી હોત તો? એને બદલે બીજો રસ્તો લીધો હોત તો? અથવાતો એ દિવસે ગયા જ ના હોત તો? અથવા તો પ્લેન લેટ હોતને એરપોર્ટ પર લેટ ગયા હોત તો? ને એક્સીડેન્ટ ના થાય તો શું કર્યું હોત એની કોણ જાણે હજારો શક્યતાઓ તપાસી લીધી હોય. અને મન પળવારમાં આ બધી ગણતરીઓ કરી નાખે.

અકસ્માત થાય ત્યારે કેટલીયે વાતો આપણા કંટ્રોલ બહારની હોય છે. અને એ ઘટના ધ્યાન રાખવાથી એવોઈડ કરી પણ શકાય અને ના પણ થાય.

પણ અમુક ઘટનાઓ જેનો નિર્ણય આપણે જાણી-વિચારી કરીને લીધો હોય છતાંયે એનો અફસોસ થાય. આપણને એમ થાય કે આપણે આમ કેમ કર્યું? જો તે વખતે આવું કરવાને બદલે આવું કર્યું હોત તો? અને એનો મનમાં એવો ડંખ ઉભો થાય કે તમને જંપવા ના દે. અંગ્રેજીમાં એને ગીલ્ટ કહે છે. અને એ ગીલ્ટની એવી તો દુરોગામી અસર થાય કે કેટલીક વાર તો માણસો ડીપ્રેશનમાં સરી જાય.

નિર્ણયો લેવાની વાત આવે ત્યારે તમે જો મનમાં બરાબર ક્લીયર ના હોવ તો શું થાય? તમારા મનમાં શ્રેષ્ઠ નિર્ણય લેવા અંગેની એવી ઊંડી અવઢવ ઉભી થાય. જયારે તમારે એવી પસંદગી કરવાની હોય જેમાં બંને ઓપ્શન્સ સારા હોય ત્યારે કરવું શું? અને ધારો કે આવી અવઢવ પછી તમને એવું માલુમ પડે કે નિર્ણય ખોટો છે અને બદલી શકાય એવો નથી તો?

મને બારમાં ધોરણ પછી બધી જગાએ એડમિશન મળતું હતું. ઈજનેરી કે મેડીકલ બંને ક્ષેત્રે કોઈપણ કોલેજમાં જઈ શકાય. તો મને ઈજનેરી કરવું કે મેડીસીન એની અવઢવ રહે. આ અવઢવ એવી છે કે એના આધારે આપણી આખી જીંદગી કેવી જશે એ નક્કી થાય. અને એક વાર નક્કી થઇ ગયું એટલે પતી ગયું, પછી ફેરફારની શકયતા લગભગ નથી હોતી. તો આવા કિસ્સામાં શું કરવું અને ધારોકે નિર્ણય લઈ લીધા પછી એમ લાગે કે આ નિર્ણય બરાબર નથી તો? તો પછી એમ થયા કરે કે આવું કેમ વિચાર્યું? અને નિર્ણય પછીનો અફસોસ, ગીલ્ટ, ડંખ બરાબર ચાલુ થાય.

કેટલાક લોકોને તો ડંખ વર્ષો સુધી રહેતો હોય છે. આપણને આવો ડંખ રહી ગયો હોય તો શું શું થઇ શકે? નિર્ણયનો આપણને પારાવાર ભાર લાગે, નિર્ણય કરેલ હોય એનાથી મનને કોરી ખાતી પીડા ઉભી થાય. મન બળતું હોય એવું લાગે. આપણને એમ થાય કે એવું કેમ કર્યું? નાહકને ઉપાધી વહોરી લીધી નહીતર આજે કુબેરને શરમાવે એટલી સંપત્તિ હોત અથવા તો ઇન્દ્રને ઈર્ષ્યા થાય એવું ઐશ્વર્ય લઈને બેઠા હોત એવું બધું.

કશુક મોંઘુ ખરીદી લાવ્યા, અને એ ખરીદવાની ઈચ્છા હોય જ તો પણ લોકો એને ઘણીયે વાર પાછુ આપી દે અથવા તો એમ વિચારે કે આની જરૂર નહતી. આ પરિસ્થિતિમાં મોટે ભાગે નાહકનો અફસોસ કરતા હોય છે, અંગ્રેજીમાં એને બાયર્સ રીમોર્સ અથવા તો ખરીદીનો પશ્ચાતાપ કહે છે.

પણ છતાંયે નિર્ણય થઇ જ ગયો હોય તો હવે શું? નિર્ણયનો અફસોસ ના કરવો એવી કેટલીયે વાતો વાંચી છે. આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સમય ગયેલો પાછો આવતો નથી, પણ શાસ્ત્રોમાં આવું થઇ ગયું હોય તો એનો ઉપાય શું એ લખ્યું નથી. એમ કહે છે કે એનો અફસોસ ના કરવો એટલે એ ભાવનાને તદ્દન ડાબી દેવી, દફનાવી દેવી?!

મોટે ભાગે જે નિર્ણયો લેવાઈ ગયા હોય અને એ ના ગમતા હોય એવું લાગતું હોય છતાંયે એ નિર્ણયો સાથે જ રહેવું પડે એવું હોય તો પછી એ પરિસ્થતિને હ્રિદય પૂર્વક સ્વીકારવી. ફિલ્મોમાં ઘણીવાર એવું બતાવે છે કે હીરોએ હિરોઈનને ખાલી ખાલી છેતરવા માટે જ મિત્રતા કેળવવી. પણ એ ઘણીવાર સાચેસાચી મિત્રતામાં પરિણમે છે.

એવું જ પરિસ્થિતિ સાથે છે. તમને ના ગમતી હોય એવી ઘટના બને તો પણ પછી એના સારા પાસાઓ પર ફોકસ કરો તો? કોઈક ઘટના અણગમતી બની તો પ્રયત્નપૂર્વક ગમે એવી ઘટના તરફ તમે જઈ શકો ના એવું શક્ય છે ખરું?

વાસ્તવમાં ડંખને દુર કરવો ખુબ જ અઘરી વાત છે. ડંખના જુદા જુદા પ્રકાર હોય છે. આપણે અહી જે વાત કરીએ છીએ એ કોઈક અણગમતી ઘટના બની હોય એના ડંખની વાત છે. આપણે એમ કહીએ કે ઘટનાના સારા પાસાઓ પર વિચાર કરો તો ડંખ દુર થશે. પણ છતાયે ડંખ જે રીતે ઓછો થવો જોઈએ એ થતો નથી.

આદર્શ રીતે ડંખતી વાત યાદ આવે તો ય મન વિચલિત થવું જોઈએ નહિ. એનો ઉપાય શું છે? આ વાતનો ઉપાય એટલા માટે ઝટ મળતો નથી કારણ કે ડંખ અમુક રીતે આપણને ફાયદો પણ કરાવે છે! કુદરતે માણસના મનમાં એવી ખૂબી મૂકી છે જેથી આપણે ફરીને ફરી એક જ જાતની ભૂલ કરીએ નહિ. એવી જો ખૂબી ના હોત તો જીવનમાં માનવનું આટલું ઈવોલ્યુશન થયું જ ના હોત.

ધારો કે આપણે એક વાર એવું જાણ્યું કે અગ્નિમાં હાથ નાખો તો દાઝી જવાય અને એવું ફરી કરતા નથી. એ વાત (અથવા ડંખ) આપણે બરાબર યાદ રાખીએ છીએ. પણ એ જ ખૂબી જયારે આપણા મનને પીડા આપે ત્યારે શું? ત્યારે આપણી આ ખૂબી આપણને દુ:ખી કરે છે. આ વાત કોઈ પણ વસ્તુ સાથે સરખાવી શકાય. રસોડામાં એ ચપ્પુ શાક સમારવામાં ઉપયોગી છે પણ ધ્યાન ના રાખીએ તો ચપ્પુ વાગી જાય એવું બને. પણ આપણે ચપ્પુ વાગી ના જાય એનું બરાબર ધ્યાન રાખીએ છીએ. ડંખ કે અફસોસનું એવું જ છે. અમુક વાત આપણને ભૂલ ફરી ના થાય એ માટે બરાબર યાદ રહી જાય છે. પણ પછીથી જયારે કશું થઇ શકે એમ હોય જ ના ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું છે એ કે એ ઘટના પર ફોકસ કરવાનો ખરેખર કોઈ અર્થ નથી.

આપણને બની ગયેલી ઘટના ગમતી નથી કારણકે એના પરિણામો ભોગવવા આપણે તૈયાર નથી અને એ વખતે એ ડીસીઝન જે સારામાં સારો લાગ્યો એ લીધો હતો. અને વારે-વારે એવું બને કે જૂની વાતો તાજી થાય. એટલે એ જુના ઝખ્મો, ડંખો કે પછી પશ્ચાતાપ માનવને પીડાની આગમાં ભયંકર બાળે છે. પણ બની ગયેલી વાતનું હવે શું? જો કોઈકવાર તમે ટ્રેનને ચુકી જાવ તો શું કરો? બીજા દિવસે જાવ, પ્લેન ચુકી જાવ તો શું કરો? બીજી ફ્લાઈટમાં જાવ. બની ગયેલી ઘટનાનો અફસોસ કરવાને બદલે એને કારણે ઉભી થયેલી પરિસ્થતિમાંથી આનંદ શોધવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

પણ એવું કરવું જરાયે સહેલું નથી. એના માટે મનને મેનેજ કરવું એ મનને સાણસીથી દબાવવા જેવું છે. ઘણીવાર બની ગયેલી ઘટનાના પશ્ચાતાપથી માણસના હ્રિદય પર ઊંડા ઉઝરડા પડતા હોય એવું લાગે છે. પણ તમે જો મનને મેનેજ ના કરો તો શું થાય? મન તમારા ઉઝરડા વધુને વધુ પીડાદાયક બનાવશે.

પછી ઈશ્વરની ખૂબી એવી છે કે સમય પસાર થયે એ ઉઝરડા આપોઆપ રુઝાઈ જશે. અને વધુ સમય પસાર થઇ જાય તો મનને એવું યાદ પણ નહિ રહે કે આવું થયું હતું. અને હકીકતે મન એ ઘટના કે ડંખ આપનારા પ્રસંગો કે નિર્ણયોને સ્વીકારીને ક્યારેક તો મનોમન એવો આનંદ પણ પામે કે જે થયું એ બરાબર છે. આને કારણે આ બીજો ફાયદો થયો.

તો પછી કોન્શીયશલી (સભાન પણે) મનને એવું સમજાવી ના શકાય કે ઘટના બને તો એનો અફસોસ કરવાથી કઈ વળવાનું નથી? મનને એવું સ્વીકાર કરવા માટે તૈયાર કરવું પડે. પણ મેં એવા લોકોને પણ જોયા છે જે આવો અફસોસ કરતા નથી. એમની જગ્યાએ હું હોઉં તો મને પારાવાર અફસોસ થાય કે આને માથે તો શું વીતતી હશે. પણ એ લોકો કુદરતી રીતે, એ ઘટનાને સાચેસાચ સ્વીકારે છે કે આવું કઈ થયું છે તો ભલે થયું, કશો વાંધો નહિ હવે આમ કરીશું. અને મનોમન, સાચેસાચ સ્વીકારવાથી ડંખ તો દુર થાય જ પણ ડંખને બળજબરી પૂર્વક દબાવી દેવો પણ ના પડે.

જો આપણાથી આવું કુદરતી રીતે સ્વીકારી શકાય એમ ના હોય તો? તો પછી આપણે શું કરવું? એનો રસ્તો છે કે આપણે હંમેશા પોઝીટીવ બાજુને જોવી. ભલેને મન હજુ તાત્કાલિક કશુક સ્વીકારવા તૈયાર નથી. છતાંયે એવો પ્રયત્ન કરવો. કુદરતે માનવનું સર્જન જ એવું કર્યું છે કે જે દિશા તરફ નજર કરે એ દિશા એને ગમવા લાગે. જો તમને એક જગ્યા નથી ગમતી છતાંયે ત્યાજ જવાનું આવે તો ધીમે ધીમે એ જગ્યા ગમવા લાગે. એ જ નિયમસર, ધ્યાન એ રાખવાનું છે કે નવી જગ્યાએ તમને જૂની જગ્યા છોડવાનો અફસોસ કરવાનો નથી. નહીતર તમારી જૂની જગા તો ગઈ જ છે અને નવી જગાનો તમે લુત્ફ ઉઠાવતા નથી.

નહીતર ઇતિહાસ એવી કેટલીય વાતોનો સાક્ષી છે જેમાં અમુક ઘટના એમુક રીતે બની હોત તો? ધારોકે ૧૮૫૭ના વિપ્લવમાં ભારત વિજયી બન્યું હોત તો? કે પછી પૃથ્વીરાજ ચૌહાણ વિજયી થયો હોત તો? અથવા તો ક્રિકેટમાં અમુક વિકેટ ના પડી હોત તો? કાં તો ભારત-પાકિસ્તાનના ભાગલા ના થયા હોત તો? ને એવું તો કેટલુંય છે કે જે આપણે ઈચ્છયું હોય અને ના થયું હોય.

અમુક વાર ઘટનાઓ બને એના પર આપણો કંટ્રોલ હોતો નથી ને અમુક વાર આપણે જે ડીસીઝન કર્યો હોય એ ખોટો ઠરે કે આપણને એવું લાગે કે એ ખોટો નિર્ણય હતો.

આ બધી જ પરિસ્થિતિમાં ડંખને સાચવી, ધીમે ધીમે કાઢવો એ એક ખૂબી છે જેને પ્રેક્ટીસ કરવાથી સિદ્ધ કરી શકાય એમ છે. (અને એ જ રસ્તો છે)  એ પ્રયોગ કરવા જેવો છે અને એ પ્રયોગ ના કરો તો જે પરીસ્થીતી ગોઠવાઈ છે એ તમે દુ:ખી મને ભોગવવાના છો તો નવતર પ્રયોગ કરીને મનને આનંદમાં શા માટે ના રાખવું?

આપણે ત્યાના જાણીતા લેખકોએ આ જ વાત પર સરસ વાત લખી છે. એમના એક કાજળ ઓઝા વૈદ્ય છે. એમનો લેખ “નિર્ણય પછીનો અફસોસ” રીડ ગુજરાતી પર વાંચેલ હતો. સૌરભ શાહ દ્વારા લખાયેલ આવો જ બીજો એક લેખ વાંચેલ હતો. અહી એની લીંક મુકેલી છે.

http://www.readgujarati.com/2011/07/26/nirnay-afsos/

http://saurabh-shah.com/2009/06/26/afsos/

Posted in Uncategorized | 3 Comments

ઉપાય હાજીર છે

આપણે આપણા આખા દિવસની પેટર્ન જોઈએ તો ખબર પડે કે દિવસમાં કેટલીયે વાર આપણે ખુશ હોઈએ ને સાથે સાથે સહેજ દુ:ખી પણ હોઈએ. દુ:ખી એટલે એવું કે કેટલીય વાર મનને ના ગમે એવી વાતો થાય. કોઈક વાતની તીવ્રતા વધુ હોય તો કોઈક વાતની તીવ્રતા ઓછી હોય.
ધારો કે સવારે ઉઠીને કોઈક કામ યાદ આવ્યું અને ઘરેથી નીકળી ગયા હોઈએ. કોઈક વાર અમુક ઘટના બને એનું ફ્રસ્ટ્રેશન થાય. ધારો કે તમારે સવારે વહેલા ઉઠવાનું છે. બસ એ વિચારથી સાંજે બેચેની થઇ જાય (‘ફ્રસ્ટુ’ થઇ જવાય). ધારોકે કોઈકની જોડે અણગમતી દલીલબાજી થઇ જાય, અને મન તમારું ફ્રસ્ટેટેડ! મન ખાટું થઇ જાય. મન પર ફ્રસ્ટ્રેશન આવે કે મન/હ્રિદયને ઉચાટ થાય એવું થાય તો શું કરવું?
હવે ધારોકે કૈક એવી ઘટના બની (નાની કે મોટી) જેનાથી આપણે તત્ક્ષણ ફ્રસ્ટેટેડ થઇ ગયા, દિલો-દિમાગ પર એ ઘટના એ કબજો કરી લીધો. ધારોકે કોઈકની સાથે બેફામ આક્ષેપબાજી થઇ ગઈ. તમે મૌન રહેવાનું પસંદ કરો કે ધારદાર ઉગ્ર દલીલબાજી, તમારું મન અપસેટ થવાનું જ છે.
ધારો કે તમારી ગાડીમાં પંચર પડ્યું ને તમારે અર્જન્ટલી ક્યાંક જવાનું છે, તત્ક્ષણ માટે તો તમે બરાબરના છટપટાઓ એવું થાય. પણ પછી તમે રસ્તો શોધો કે વાંધો નથી, હવે જોબ પર ફોન કરીને કહીશું કે લેટ આવીશું અને પંકચર રીપેર કરવાની વ્યવસ્થા કરો. મોટે ભાગે કોઈ પણ આવી ઘટના બને એટલે તમે તાત્કાલિક તો હતપ્રભ થઇ જ જાવ પણ કળ વળે એટલે રસ્તો શોધી લો. મોટી વાત હોય તો રસ્તો શોધતા વાર લાગે, પણ હોમો સેપિયન્સ રસ્તો તો શોધી જ કાઢે. કોઈક વાર રસ્તો શોધતા શોધતા મનને ભયંકર ફ્રસ્ટેશન થાય.
પણ અમુક વાતોથી મન અકળાઈ જાય. ધારો કે એવી ખબર પડી કે પાકીટ ખોવાઈ ગયું છે (કે ચોરાઈ ગયું છે). કોઈનું પણ મન અકળાય ના એવું શક્ય જ નથી. તત્ક્ષણ જે મુખ ગ્લાન થઇ જાય અને હ્રિદયમાં ધ્રાસકો પડે! પણ પછી શાંત થઈએ ત્યારે વિચારીએ કે ક્યાં મૂકઈ ગયું હશે અથવા તો જો ખરેખર ખોવાઈ ગયું તો તરત જ મન પોતાને જ મનાવવા લાગે કે પાકીટમાં એટલા બધા રૂપિયા તો હતા નહિ અને ખાસ કરીને પેલા તે દિવસે હાથમાં આવ્યા એ સારું થયું કે એમાં ના મુક્યા એવું બધું.
કોક વાર ફ્રસ્ટ્રેશન થાય એવી ઘટના બને તો ય આપણે એને ધ્યાન પર નથી લેતા કારણકે આપણે એટલા મુસ્તાક હોઈએ છીએ કે એને પહોચી વળીશું. ધારો કે ડીવીડી રેડબોક્ષમાં નાખવાની રહી ગઈ. ભલે, એક ડોલર લેટ ફી આપી દઈશું. પણ મન અકળાઈ ના જાય.
અચાનક જ બની જાય એવી ઘટનાના ફફ્રસ્ટ્રેશનમાંથી બચવું અશક્ય છે. પણ વારમવારની ઘટનાઓ પરથી આપણને એટલું તો ખબર પડે જ છે કે આપણે કોઈકને કોઈક રસ્તો શોધી જ કાઢવાના છીએ, પણ છતાંયે આપણે પળવાર માટે હતપ્રભ કેમ થઇ જઈએ છીએ? અથવા ફ્રસ્ટ્રેશનની લહેરખી મનમાં કેમ લહેરાવા દઈએ છીએ? જો રસ્તો શોધવાના જ હોઈએ એવી ધારણા હોય તો મનને અપસેટ શું કરવા થવા દેવું? એને બદલે હંમેશા આનંદમાં જ શું કામ ના રહેવું?
કૈક સરસ ઘટના બને તો આપણે કેટલાયે કલાકો સુધી આનંદમાં રહીએ એવું કોઈક ઘટના બન્યા વગર કેમ ના કરી શકાય? આપણે જો મનને આનંદમાં રાખવાનું એવોઈડ કરી નથી શકતા તો મનને ઉદાસ રાખવું પણ કઈ રીતે એવોઈડ કરી શકીએ? આપણે એકાદ નાની શી આનંદ આપનારી ઘટના હોય એનાથીયે પુલકિત થઇ ઉઠીએ છીએ તો સાથે સાથે ના ગમતી ઘટનાઓય મનને દુ:ખ આપવાની જ છે.
એવું શક્ય છે ખરું? પ્રયોગ કરવા જેવો છે. એનું પહેલું પગથીયું એ છે કે દિલ-દિમાગને દુ:ખી કરે એવો એકાદ વિચાર પણ મનમાં આવે, નાનકડો, સાવ જ નાનો, તો પણ એને ઓળખાવો. ભલે ઉપાય કરીએ કે ના કરીએ. પણ એક વાત યાદ રાખવી કે એવું યાદ કરવું કે આવો વિચાર આવ્યો છે. બીજું પગથીયું એ છે કે જો વિચાર ઓળખાતા આવે તો એવું મનને બરાબર ઠસાવવું કે ગમે એવી ઘટના બની છે, ગમે તેટલી ભયંકર ઘટના બની છે તો યે એનો ઉપાય મળવાનો જ છે. એટલી જીવન પર પુરેપુરી શ્રદ્ધા રાખવી કે જે પણ થઇ જવું હોય એ થશે અન એથી મારે ઉચાટ કરવાનો નથી. હું એનો ઉપાય શોધી જ કાઢીશ. અને આપણે આજ સુધીમાં હજારો અને હજારો પ્રસંગોએ જાત જાતના ક્રિયેટિવ ઉપાયો શીધેલા જ છે. અને કૈક સરસ બન્યું હોય એવા આનંદમાં રહેવું.
પણ રીયાલીટી ચેક કરીએ, તો આવું કરવું વાસ્તવમાં શક્ય છે ખરું? એમાં જુદા જુદા સમયે તમે થાકેલા છો કે નહિ, તમારી આજુબાજુ કયા લોકો ઉભા છે (મિત્રો, સગાઓ, જોબના કલીગ્સ, સાસરીના લોકો!!), કે પછી તમારે ખરેખર કૈક અર્જન્ટ કામ ચાલી રહ્યું છે એ જ વખતે બીજું કાકી કામ આવી ગયું તો? અને એવી કેટલીયે પરિસ્થિતિઓ ચાલતી હોય કે તમારે મનને હંમેશા કાબુમાં રાખવું અને તો યે ફ્રસ્ટ્રેશનમાં જવા ના દેવું એવું કરી શકાય?
એવું કરી ત્યારે શકાય જયારે તમે ફ્રસ્ટ્રેશનની માત્રાને અમુક હદથી વધવા ના દો. થોડુંક ફ્રસ્ટ્રેશન તો થવાનું જ છે, પણ આપણો ઉપાય જે આપણા મનના ખિસ્સામાં હંમેશા હમેશા માટે હાથવગો રાખ્યો છે: આનો ય ઉપાય મળશે જ. એ વારમવાર યાદ કરવો. અને ઉપાય શોધવા પર કામ ચાલુ રાખવું. અગત્યનું એ છે કે ફ્રસ્ટ્રેશન તમારા દિલો-દિમાગ પર હાવી થઇ જાય, તમારા મનના અણુંએ અણુંને તણાવગ્રસ્ત કરી નાખે એવું નહિ થવા દેવું.
મનના વિચારોને ઓળખવા અને ધ્યાન રાખી રાખીને એને સિફતપૂર્વક બહાર કાઢવા એ ખૂબી જો આપણે શીખી શકીએ તો ઘણાયે અઘરા કામો કરી શકીએ. કેટલીયે મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકીએ. ઈવોલ્યુશનની થીયરી પ્રમાણે આપણું મન આ બધી જ ખૂબીઓથી સજ્જ છે જ. માત્ર વાત એનો ઉપયોગ કરીને અમલમાં મુકવાની છે.
આની જો વારમવાર પ્રેક્ટીસ કરવામાં આવે તો મનને શાંત રાખી શકાય? ત્યારે પછી પેલી વાત યાદ આવે: અમારા આ દીપકભાઈની તો વાત જ જવા દો. એટલા બધા શાંતને કે પેટનું પાણીએ ના હાલે. ભૂકંપ થતો હોય તો યે ઘરમાંથી શાંતિથી બહાર નીકળે. આવા લોકો જન્મજાત મનને શાંત રાખી શકે એવા હોય છે. એમને નાની કે મોટી વાતોમાં ઉચાટ નથી થતો. એવું નથી કે દીપકભાઈએ જીવનમાં કશું એચીવ ના કર્યું હોય. હકીકતે આ શાંત રહેવાની આવડતને લીધે એમને સામાન્ય કરતાંયે કેટલીયે વધુ વસ્તુઓ મેળવી હોય કારણકે સ્વભાવ જ એવો કે જે ફાવે ને થાય એ કરીશ. એમને કોણ રોકી શકે?
આવી બધી પ્રેક્ટીસ કરવાથી શું થાય? જીવન સારી રીતે જીવી શકાય. જીવનમાં ભાવનાઓ અને એની અસરોને સારી રીતે મેનેજ કરી શકાય. અને સંતુલિત જીવન જીવી શકાય.
Posted in Uncategorized | 1 Comment

ઉદ્વેગના ઈમોશનલ ચાબખા

પરિસ્થતિ પર આપણો કંટ્રોલ હોય તો જોઈતું હતું જ શું? તમારે મન પર ઈમોશનના ચાબખા પડે જ નહિ.

ગાડી ચલાવતા ચલાવતા પેટ્રોલનો કાંટો ધીમે ધીમે એમ્પ્ટી તરફ સરકે છે. અચાનક મારી નજર એ કાંટા પર પડે છે. પણ એથી હું જરાયે વિચલિત કે શિયાવિયા થતો નથી. મનમાં એક ક્ષણ માટે સાધારણ કંપારી પણ છુટતી નથી. પેટ્રોલ ક્યાં ભરાવવું એની બરાબર ખબર છે ને એનાથી મનને ટેન્શન થતું નથી…

તો પછી બીજી કેટલીયે નાની મોટી વાતો કેમ ટેન્શન આપી જાય? મનને નાનો-મોટો ઉચાટ કે ઉદ્વેગ શા માટે આપે? ઘરેથી બહારગામ જવા નીકળીએ ત્યારે કેટલું બધું કામ હોય! અને ત્યારે ઘરથી સમજોને ૫૦ માઈલ દુર આવી ગયા હોયને એમ થાય કે હાય રે, ગેસ ચાલુ રહી ગયો હશે તો? અને પડોશીનો નંબરે ય લીધો નથી. જો એ ઘટના સાચી લાગે તો બે ઘડી તો તમ્મર આવી જાય!!

જે ઉચાટ સતત અને હંમેશા મનની સાથે પડછાયો બનીને રહેતો હોય એવા ઉચાટોનું મુખ્ય કારણ એ હોય છે કે મન એ ઘટનાના વિચારો કરી કરીને એટલું બધું થાકી ગયું હોય પણ કોઈ પણ ઘડીએ મનને જંચે એવો ઉપાય તો મળતો જ નથી. એટલે વારે-ઘડીએ એવા અણગમતા આઉટકમને યાદ કરી કરીને મન સતત માંહેથી બળ્યા કરે છે.

અમારે ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. નામ યાદ નથી આવતું, લગભગ “મંગુ” એવું નામ હતું. એમાં એક અપંગ બાળકીને એના ભાઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે છે. પણ એની માં એ ઘટનાથી ખુબ જ દુ:ખી થઇ જાય છે. એને આખી રાત એવા જ વિચારો આવે છે કે મંગુને ત્યાં કોણ ખવડાવશે, કોણ એની કાળજી લેશે? અને એનો કોઈ જ ઉપાય બાને મળતો નથી. અને વિચારોની વણઝાર બાને એટલી તો મૂંઝવે છે કે વિચારોથી થતો ઉદ્વેગ અને ઉચાટ મન પર એટલો બધો ભાર નાખે છે કે એ જીરવી શકતો નથી.  મન સતત  બળ્યા કરે છે . છેવટે સવાર સુધીમાં તો બા એ ઉદ્વેગની અસર હેઠળ ગુજરી જાય છે.

ઉદ્વેગની તીવ્ર અસર આટલી ફેટલ (એટલેકે જીવલેણ) નીવડી શકે. આપણને આવો ઉદ્વેગ થાય તો? જે મનનો પીછો છોડે જ નહિ. કોઈક વાર એવું થાયે ખરું.

ડો. એલ્માંસરી અમારા ડેટાબેઝના પ્રોફેસર હતા. એમને અમને એક રીલેશનલ ડેટાબેઝ આધારિત એક પ્રોગ્રામ લખવાનું હોમવર્ક આપ્યું. તે એવો અઘરો પ્રોગ્રામ કે ખબર જ ના પડે કે શરુ કેમનું કરીશું. પેલા એક સુમિતને પૂછ્યું તો એને સમજાવ્યું પણ આ બધા એસાઈન્મેન્ટ એવા તે લાંબા પહોળા અને કોમ્પ્લેક્ષ્ હોય કે આખા બ્રહ્માંડની રચના કરવાની હોય અને સુમિત તમને એના એક પરમાણુ જેટલું જ્ઞાન આપે. અને આ બધામાં સમય એટલો તો ખૂટે કે ત્યારે જે ઉચાટ થાય એ જ્યાં સુધી કમ પૂરું ના થાય ત્યાં સુધી સતત એ વાત તમારા મનને જકડી રાખે.

જે વસ્તુનો ઉપાય ના મળતો હોય એ વાત જ સતત ઉચાટ આપનારી બલા છે. અમારે નોર્ટેલમાં લે-ઓફ થતા હતા ત્યારે સતત આવો જ ઉચાટ રહે. બધાને એમ થાય કે આપણો નંબર લાગશે તો શું કરીશું? એ ઉચાટ થાય એનું કારણ એ હોય કે આપણને એવું લાગતું હોય કે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જશે તો? મનનું એવું છે કે પાસે કશું ના હોય ત્યારે કશુક મળે એનો પારાવાર આનંદ થાય અને પછી એ મળી જાય તો એ જતું ના રહે એ માટેની ઇન્સીક્યોરીટી ઉભી થાય.

કોઈક વાર એમ પણ લાગે કે “હે ભગવાન, મારી સાથે જ આવું કેમ? જે ડીપાર્ટમેન્ટ કે કંપનીમાં જઈએ ત્યાં અચાનક જ નફો કેમ ઘટી જાય છે?” હકીકતે મન પોતાને ગમે એવી પેટર્ન આપમેળે જ ગોઠવાઈ કાઢે છે જેને તમારી સાથે કોઈ લેવા દેવા ના હોય તો પણ.

અને મનનું તો એવું છે કે જયારે એ જુદા જુદા આઉટકમ ગોઠવી ગોઠવીને સામાન્ય પરિસ્થતિનો ય એટલો મોટો હાઉ ઉભો કરી દે કે કાલ્પનિક તુક્કો વાસ્તવિક લાગવા માંડે અને એ તુક્કો એમનેએમ બેઠો બેઠો માણસને ડરાવે. મન જેટલી સિફતથી મુશ્કેલીમાંથી માર્ગ કાઢે એટલી જ સિફતથી તુક્કાઓ ગોઠવીને ડરી પણ એટલું જ જાય. ક્યારેક તો વાસ્તવિકતા કરતાંયે વધુ બિહામણા દ્રશ્યો મન ઉભા કરી દે. જે વાત કદાચ થાય એવી હોય જ ના છતાંયે ઓવર કોશીયશ થઈને માણસ પોતાનું (અને સાથે સાથે ફેમીલી, મિત્રોનું ય) સત્યાનાશ કરી નાખે.

ડો. એલ્માંસરીનો પ્રોગ્રામ સબમિટ કરવાનો હોય કે નોર્ટેલને ખોટ જાય ત્યારે આપણે સતત ઉદ્વેગના બોજમાં દબાયેલા કેમ રહીએ છીએ?

તે આવું થાય તો કરવું શું? એક વાત એવી કે જયારે પણ ઉચાટ થાય એવું લાગે કે તરત એને ઓળખાવો જોઈએ. જેટલું મન ઉચાટને ઓળખી શકે એટલો એનો ઉપાય સહેલો. ઉચાટને ઓળખી શકાય ખરો? આમ તો એવું લાગે કે એમાં શું મોટી વાત છે? પણ આ વાત જેટલી સરળ દેખાય એના કરતા વધુ ઊંડી છે. તમે ઉચાટ થયો છે એવું વિચારો ત્યાં સુધીમાં તો ઉચાટના વિચારોમાં ખુબ જ ઊંડા ઉતરી ગયા હોવ છો. પ્રેક્ટીસ કરીએ તો ઉચાટને તરત ઓળખી શકાય ખરો પણ ઉચાટ ઓળખ્યા પછી શું? એનો ઉપાય કરવો.

ઉપાય દેખીતી રીતે ખુબ જ સરળ છે. ઉચાટનો વિચાર કરવો જ નહિ. પણ એવું કઈ રીતે શક્ય બને? ગાડી માટે પેટ્રોલ ગમે ત્યારે (મોટે ભાગે!) મળી જ જાય એવી ગેરંટી જો દરેક વાતમાં હોય તો ઉચાટ થાય નહિ. પણ એવી ગેરંટી બધી વાતમાં નથી હોતી. તે મન એવું સ્વીકારવા તૈયાર થાય જ નહિ કે આ ઉચાટને હવે મૂકી દો. પણ મનને કેળવી શકાય તો ખરું. એમાંય જે વાત વારમવાર થતી હોય એવા ઉચાટને તો ચોક્કસપણે પકડી શકાય.

જો ઉચાટનો ઉપાય ગમે એવો ના હોય ત્યારે ઉચાટને નાથવો ખુબ મુશ્કેલ બને. અમારે જયારે ઘર લેવું હતું ત્યારે અમે જોબની નજીક એક પ્લેનો નામના સીટીમાં ઘર શોધતા હતા. હવે પ્લેનોમાં ઘર ખુબ જ મોંઘા અને જોઈએ એવા તો મળે જ નહિ. પછી મારા એક મિત્ર નરેન મને કહે કે પ્લેનોમાં ઘર શોધવાનું રહેવા દે. મેલ પડશે નહિ. એલન સીટીનો પ્રયત્ન કર. અને અમને એલનમાં ઘર મળી પણ ગયું. આપણે જ્યારે એવું સ્વીકાર્યું કે પ્લેનોમાં ઘર મળે નહિ અને એલનમાં યે ઘર લઇ શકાય કે તરત જ પ્લેનોમાં ઘર નહિ મળે એ અધીરાઈ ગાયબ થઇ ગઈ. ડીસીઝન થઇ ગયો અને આ કિસ્સામાં એ ડીસીઝન મને સ્વીકારી પણ લીધો. અને ખાધું પીધુને રાજ કીધું!

પણ દરેક ઉચાટમાં આવો ઉપાય મળે ખરો? ધારો કે તમારી જોબ છુટી જાય તો? તો પછી હું કેનેડા જઈને રહીશ પછી ત્યાં શું કરીશું? કે પછી ઇન્ડિયા જતા રહેવું પડે તો? મન પાછુ ને પાછુ ત્યાં જઈને જ અટકે. એટલે ત્યાં જઈને શું કરીશું? મારે એકલા જ કેમ જવું પડે છે કે જવું પડ્યું? એવું કોઈ પણ હિસાબે મને સ્વીકાર્ય નથી? કારણકે આપણે આપણું મન ખુલ્લું રાખ્યું જ નથી. મનની દ્રષ્ટિએ એ ઉપાય ભલેને ચાલે એવો હોય પણ મન એવું નથી કરવું એવું જ વિચારે.

પણ ધારો કે એક ક્ષણ માટે પણ હું એ ઉપાય સ્વીકારી લઉં તો? તો પછી એમ થાય કે ભલે ને જે થવું હોય તે થાય, મને ક્યાં ચિંતા છે? એવું હશે તો ઇન્ડિયા જતા રહીશું. ક્યાં પારકો દેશ છે? અરે ઉડતું ઊંડે ઊંડે ઇન્ડિયા જવાનો આનંદ પણ હોય, આપણે અહીના (ઇન્ડિયા)ના જ છીએ અને અહી જ પાછા આવ્યા છીએ.

કારણ એ છે કે આપણે મનને OPEN રાખતા નથી. અને અમુક ઓપ્શન જાણે અસ્પૃશ્ય જ છે એવી રીતે વર્તીએ છીએ. I am man of pride. I can’t do this. એ એટીટ્યુડ આપણને તોડી નાખે છે. જે પર્યાય એક્સેપ્ટ કરવાથી ઉચાટનો નાશ થતો હોય તો એ ઉચાટનો નાશ શું કામ ના કરવો જોઈએ? કારણ કે એથી આપણા મનની મુરાદ પૂરી નથી થતી. પણ ઉચાટ કરવાથી યે મનની મુરાદ પૂરી થવાની નથી. તો જે ઉપાયો છે એમાંથી એકાદ કરીશું એવું નક્કી કરી લીધું હોય તો તમારા જીવનમાં ઉચાટની જે છાયા પડી હોય એ તો દુર થઇ જ જાય.

અમારે ઉનાળામાં એક વાર એ.સી. બગડ્યું. તે પારાવાર ગરમી અને રીપેર ક્યારે થશે એનો કોઈ અંદાજ નહિ. તે રીપેર થતા થતા તે એટલી બધી માથાકૂટ થઇ કે જયારે બીજો ઉનાળો આવ્યો ત્યારથી જ મનમાં ભય, કે ગરમીનો પારો ઉપર જશે તો મારા એ.સી.નું શું થશે? તે એમાં મને એક ડાલ્ટન કરીને ટેકનીશીયન મળી ગયો. કિફાયતી (!) અને હોશિયાર. તે હજુ તો ઉનાળો શરુ થાય એ પહેલા તો એ.સી.ને સર્વિસ કરાવી નાખ્યું. કોઈલ ક્લીનથી માંડીને ફ્રીયોન. હવે ઉનાળાનો પારો ઉપર જાય તો યે મારું મન શાંત રહે છે (ઉચાટ થતો નથી). ડાલ્ટનનો નંબર મારી પાસે હાથવગો જ છે. જો કશું પણ થાય તો ડાલ્ટન હાજર છે. અને પછી તો એવું કે ધારોકે ડાલ્ટનથી ના થયું તો? તો એ.સી. બદલીશું. એમાંયે શું વાંધો? પણ આવી સમજ જો કેળવી ના હોય તો કેવો ઉચાટ થાય? એવો ઉચાટ કે જે વાસ્તવિકતાથી યે વધુ કડવો હોય!

એ સમજ એવી કે દરેક વસ્તુનો ઉપાય છે. એ ઉપાય ગમે એવો ના હોય તો યે એ સ્વીકારવામાં આવે તો ચાલી શકે. એ તમારો ઉચાટ દુર કરી શકે ખરો. હવે ઉપાય મળે એવો ના હોય તો? પછી જે થવાનું હોય એ થાય. જો કશું કરી શકાય એવું હોય તો કર્યું જ હોય, પણ બધા જ ઉપાયો અજમાવી લીધા પછી હાથમાં કશું રહેતું ના હોય તો જે થવાનું હોય એ જ થવાનું છે ને! તે એવું પહેલેથી સ્વીકારી લેવું શું ખોટું? આવી સમજ આપણા મનમાં કોન્ફીડન્સ ઉભો કરે.

“હું ઇન્ડિયા પાછો ફરી જઈશ જો મારે એચ-૧ વિસા રીન્યુ ના થાય તો” તો એને કોણ ડરાવી શકે? તમારી વિચારસરણી જ એવી કેળવાય કે જે પરિસ્થિતિ છે એને જોઈ લઈશું, તો ઉચાટ ના થાય. આ વાત કહેવી એટલી કરવી સરળ નથી. ભગવાન બુદ્ધે કહ્યું છે એમ કે મોહનો ત્યાગ કરો. પણ માણસ એમ મોહનો ત્યાગ સરળતાથી કરી શકતો હોત તો દુ:ખી થાત જ નહિ.

ઉચાટ દુર કરવો છે એ વાત કરવાની ઈચ્છા પણ હોવી જોઈએ અને એની પ્રેક્ટીસ પણ કરવી પડે. પણ શું થશે, એની ફડક જો રહેતી હોય તો ઉદ્વેગને પછાડવો બહુ અઘરો છે. એ ફડક દુર કરવી એ જ આ આખી વાતનો સાર છે.

અને જેનો ઉપાય પહેલેથી કરી શકાય એવો હોય એવી વાત થવા જ ના દેવી. ડો. એલ્માંસરીના પ્રોજેક્ટનું કામ પહેલેથી જોઈ રાખ્યું હોય તો ઉચાટની માત્રા ઘટાડી શકાય. કે પછી એ.સી. રીપેરની પરિસ્થતિ આવે તો શું કરવું એ રેડી જ રાખેલું હોય.

ઉચાટ કે ઉદ્વેગ કે ટેન્શન….છેવટે એક જ વાત પર આવે છે કે જે થાય છે એને સ્વીકારો. તમારાથી થાય એટલું કરો પણ વિષાદ ના કરશો. આ વાતો શાસ્ત્રોમાં લખી જ છે. શાસ્ત્રોમાં કેટલીયે વાતો લખી છે પણ તમારા સ્વભાવને અને તમારી પરિસ્થતિને એમાંથી કઈ વાત લાગુ પડે છે એ તમારા સિવાય બીજું કોણ જાણે?

ઉચાટ જયારે કંટ્રોલમાં હોય ત્યાં સુધી વાંધો નહિ. એવો ઉચાટ તો જરૂરી છે નહીતર જરૂરી કામો ય પુરા ના થાય. પણ એ જયારે કંટ્રોલની બહાર હતો રહે, મનને બોજો લાગવા માંડે ત્યારે એ ઉચાટને ઓળખવો અને એને હાવી થવા દેવો નહિ. ઉચાટ ઉભો જ ના થાય એ પ્રથમ પગથીયું છે. ઉચાટ ઉભો ધારો કે થઇ ગયો તો એનો ઉપાય કરી લઈશું એ કોન્ફીડન્સ બીજું પગથીયું છે. અને ધારોકે ઉપાય છે જ નહિ તો જે થશે એ થશે એવો સ્વીકાર એ ત્રીજું પગથીયું છે.

Posted in Uncategorized | 1 Comment

સિમટી હુઈ યે ઘડિયા, ફિર સે ના બિખર જાયે….

જે વાતની રાહ જોતા હોઈએ એ ઘટના જયારે ખરેખર બને ત્યારે કેવો અપાર આનંદ થાય? તમારું મન હાથમાં ના રહે. અને આવું એક વાર નહિ કેટલીયે વાર થાય. અમુક સમાચારો સાંભળીને મને ક્યારેક આનંદથી જ ભુખ ના લાગે. એવા કેટલાયે પ્રસંગો છે જે યાદ કરીને આજે ય મન આનંદથી ભરાઈ જાય.

અમેરિકામાં મારું માસ્ટર્સ મેં યુનિવર્સીટી ઓફ ટેક્સાસ, આર્લિંગટન ખાતેથી કર્યું હતું. એ વખતે અમે ત્યાં યુનિવર્સીટી પર જ રહેતા હતા. ત્યારે નક્કી કર્યું કે પપ્પા-મમ્મીને અમેરિકા ફરવા બોલાવી લેવા. તે એના માટેના કાગળિયા એટલા બધા લાંબા પહોળા હોય કારણકે મુંબઈ ખાતેની અમેરિકાની કોન્સ્યુલેટની કચેરીમાં કશું પાક્કું ના હોય. કોને કયા કારણસર વિસા આપવા અને કોને ના આપવા એનો કશો નિયમ નહિ. એટલે પુરેપુરી તૈયારી કરી નાખી હતી. સ્પોન્સરશીપના  કાગળિયા જોડે બીજી કેટલીયે વિગતો આપવી મોકલાવી જોઈએ. એટલે મેં જરૂરી હોય એવા તમામ કાગળિયા બે-ત્રણ વાર ચેક કરીને મોકલી દીધા. કાગળીયાની દ્રષ્ટીએ અમારી તૈયારીમાં કોઈ ભૂલ ના હતી. આમાં સહુથી અગત્યની વાત એ છે કે મુંબઈ કોન્સ્યુલેટના અધિકારીઓને તમારે એવું બરાબર સમજાવવું પડે કે બાળકોને મળીને ભારત પાછા આવી જઈશું. અને એની એક જ (કે બે) તક હોય. તે પપ્પા મમ્મીને કોન્સ્યુલેટમાં ગયા પછી વિસા મળી પણ ગયા. અને એ લોકોના આવવાની તારીખ પણ નક્કી થઇ ગઈ.

તે અમને તો એવો આનંદ થાય. જે દિવસે વિસા ગ્રાન્ટ થયેલા એ દિવસે તો આખો દિવસ ખુશી હોય એવું લાગે. આપણે કામ કરતા હોઈએ પણ મનમાં એક પ્રકારનો આનંદ ચાલતો હોય. વીસાના પપેર મોકલવાથી માંડીને પ્રશ્નોત્તરીની જે આખી કવાયત કરી હોય એ સળંગ મનમાંથી પસાર થતી હોય. અને છેવટે મિશન એકમ્પ્લીશ્ડની અદ્ભુત લાગણી થાય. એનું બીજું કારણ કે આ કામના આઉટકમનો હંમેશા મનમાં ડર હોય અને છેવટે એ સકસેસફુલી પતે ત્યારે મનમાં જાણે આનંદનો અતિરેક થઇ જાય. એ દિવસે કોઈ પણ મિત્ર સામો મળે તો બે ઘડી ઉભા રહીને આનંદપૂર્વક વાત કરવની ઈચ્છા થાય, કોઈ કારણ વગર જ. તમને એમ થાય કે જીવનમાં કોઈ પ્રશ્નો છે જ નહિ (જો કે એ તત્ક્ષણની જ અનુભૂતિ છે). તમારું દિલ ખુશ થઇ ગયેલું હોય.

તે આવું તો કેટલીયે વાર થાય. બારમાં ધોરણમાં મેં એવું જોયું હતું કે વાર અમારી સ્કુલમાં હોશિયાર હોય, બધી તૈયારી કરી હોય તો એ કોઈ કોઈ વાર સીનીયર લોકોના રીઝલ્ટ સારા નહતા આવતા. અને પછી એડમીશનની દોડધામ અને શું કરવું એની પારાવાર વિમાસણ. હવે આપણે ત્યાં બારમાં ધોરણનો સિલેબસ જ એટલો બધો લાંબો પહોળો કે એટલી બધી તૈયારી કરો ત્યારે સ્કોર થાય. અને જો એ વખતે સ્કોર ચુકી ગયા તો ગયા. તે વખતે જે લાઈન મળે એના આધારે જ લગભગ બીજું બધું ય ગોઠવાય. તે અમારા સાહેબ અમને ભણાવતા હોય ત્યારે અમને કહે કે છોકરો બારમામાં દુબળો પડી જાય. તે એમાં મારી તૈયારી તો ખુબ, પપ્પા-મમ્મીનો પુરેપુરો સહકાર. પણ રિઝલ્ટના દિવસે તો એમ જ થાય કે આજે શું થશે!! આપણે પેપરમાં સરસ લખ્યું હોય તો ય માર્ક સારા ના આવે તો? એવું બને ય ખરું. કારણકે મેન્યુંઅલી પેપર તપાસતા હોય ત્યાં ગમે તે થઇ શકે.

નસીબજોગે મારે રીઝલ્ટ ઘણું સરસ આવ્યું. તે એ દિવસે તો એટલો આનંદ થાય, એમ થાય કે આજે તો જગ જીતી ગયા છીએ. હવે બીજી ગમે તે મુશ્કેલી આવે, બધું જ પહોચી વળીશું. તમને એમ થાય કે આનાથી બીજી સારી ઘટના બની જ શું શકે. આનંદનો અતિરેક થઇ જાય. આનંદરસમાં એવા તે તરબોળ થઈએ કે એમ થાય કે સિમટી હુઈ એ ઘડિયા ફિર સે ના બિખર જાયે.

અમેરિકા યુનિવર્સીટીમાં ભણવા માટે હું જયારે આવ્યો ત્યારે દરેક વિદ્યાર્થીને Out of State ટ્યુશન ફી ભરવી પડે જે સામાન્ય ફી કરતા ત્રણ ઘણી વધારે હોય. અને પાછો રહેવા જમવાનો ખર્ચ અલગ. એટલે એ બધાને પહોચી વળવા માટે તમારે રિસર્ચ આસીસ્ટન્ટશીપ મેળવવી પડે. એ કામ દરેક કોલેજમાં એટલું બધું અઘરું હોય અને એટલી બધી કોમ્પીટીશન હોય!! વાત ખુબ લાંબી છે પણ એક સેમેસ્ટર પછી મને આસીસ્ટન્ટશીપ મળી ગઈ ખરી. ત્યારે એમ લાગ્યું કે આ ઘટના તો પહેલા બનેલી તમામ ઘટનાઓ કરતા ખુબ જ મહત્વની (અને ખુશીવાળી) છે. અને સાચે, એ દિવસે જે આનંદ થાય લગભગ અવર્ણનીય હોય. જેટલી વાત અઘરી એટલો આનંદ વધુ એવું લાગે. (આજે એવું ના યે લાગે કે એ ઘટના જ સહુથી મહત્વની છે એવું)

આમ જોવા જાવ તો જયારે જયારે પણ સહેજ આનંદ આપનારી ઘટના બને એટલે મન પુલકિત થઇ જ ઉઠે. તમે વર્ષો પછી ભારત જઈને પપ્પા-મમ્મી અને સ્વજનોને મળતા હોવ, ત્યારે એવું થાય કે સમય આટલો જલદી કેમ પસાર થાય છે. ઇન્ડિયા જવાની તારીખ આજે નક્કી કરી હોય પણ મન તો એમ જ કહે કે ક્યારે એ તારીખ આવી જાય અને ઇન્ડિયા પહોચી જઈએ. મન એ તારીખની રાહ જોવા ઝાલ્યું ના રહે. પણ ઇન્ડિયા જાવ ત્યારે એમ થાય કે હજુ આજે તો જાણે આપણે આહી આયવા છીએ ને પાછો જવાનો સમય થઇ ગયો. ફરીથી એમને એમ થાય, કે આ સમયને પકડી રાખીએ. સિમટી હુઈ યે ઘડિયા, ફિરસે બિખર ના જાયે.

કે પછી તમારે ઘરે નવું ટીવી આવ્યું હોય કે નવી નોકરી મળે. કે ઇવન નવી નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો હોય. કે પછી તમે નવી ગાડી લીધી હોય. અરે, તમારા માટે જીમેન્શીયમની મેમ્બરશીપ લીધી હોય તો યે તમે એક્સાઈટેડ હોવ છો. આજે સાંજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે, તો એ વિચારથી મન ખુશ થઇ જાય. જયારે એ વિચાર આવે ત્યારે જ આનંદની લહેરખી દોડી જાય. વેકશનમાં ક્યાંક ફરવા જવાનું બુકિંગ કરાવ્યું હોય તો એ વિચાર પણ આનંદ આપે. આજે પેલા વર્ષો જુના મિત્ર નૈતીકને મળવાનું છે, કાલે બામ્બુ ગાર્ડન નામની નવી રેસ્ટોરન્ટમાં જમવાનું છે, કે પછી ક્રિસમસનું વેકેશન પડવાનું છે. નાની-મોટી કેટલીયે ઘટનાઓ ખુશીઓ આપતી જ રહે. જીવનમાં જુદા જુદા સમયે આનંદની નાની-મોટી ઘડીઓ આવ્યા તો કરે જ. ભલે ને તમે જીવનના કયા તબ્બક્કામાં હોવ.

આપણને આ આનંદની ઘડીઓનો કોઈ વાંધો ય નથી. મન ક્યારેય એમ નથી કહેતું કે આ ઘડીઓ કેમ આવી. મન તો ખરેખર આવી ઘડીઓ ઝંખે છે. મનોમન ભગવાનને એવું કહેવાઈ જાય કે પ્રભુ, મારા મનને કાબુમાં રાખવાની પ્રેરણા આપજે જેથી આવી ઘડીઓ આવે.

અમુક લોકો અમુક ઘટનાને એટલી તીવ્રત્તાથી ઝંખે છે કે એવું કહે કે આજે આ વાતનો મને એટલો તો આનંદ છે કે હવે મોત આવે તો એની પણ પરવા નથી. દુનિયામાં કોઈ જ એટલો દુ:ખી વ્યક્તિ હોતો નથી જે સળંગ આવી ઘડીઓ વગર જીવન જીવતો હોય. ક્યાંક, ક્યારેક તો એવા નાના-મોટા પ્રસંગો બને જ કે જે મનને ખુશ કરી દે (કદાચ તત્ક્ષણ પુરતા) એના વગરનું જીવન મનુષ્ય અવતારમાં શક્ય જ નથી. નહીતર એ મનુષ્ય નથી એવું કહેવાય.

તે આવી આનંદની ઘડીઓ કેમ આવતી હશે? એવું થવું જરૂરી છે ખરું? (જો કે આવો આનંદ પણ શાશ્વત નથી, એ ક્ષણભરનો જ હોય છે) બીજી વાતો ફરીથી.

Posted in Uncategorized | 3 Comments

દુનિયા બનાનેવાલે કાહે કો દુનિયા બનાઈ

નોર્ટેલમાં જયારે મારી નવી નોકરી શરુ થઇ ત્યારે કામ-કાજમાં હું ખુબ જ ચોક્કસ રહેતો. જે કામ આપે એ કરી નાખ્યું હોય અને રજા લેવાની તો વાત જ ક્યાં? શરૂઆતમાં જોશ ખુબ હોય અને પાછુ જોબમાં લોકોને છુટા કરવાનું ચક્કર ચાલતું હોય.

એક વાર મારો એક કલીગ, વેટ્રી મને કહે કે જો પેલો કોન્ફરન્સ રૂમ દેખાય છેને, એમાં અત્યારે એચ. આર. ના માણસો બેઠા છે. તે કોટ અને ટાઈ પેહેરલા બે જણ હતા. મને કહે આજે એ લોકો એ સવારથી સાંજ સુધીમાં ત્રીસ જણને લે-ઓફ કર્યા છે. એટલે મને તો કંપારી જ છૂટી ગઈ. અરે, મારી બાજુની ટીમનો ગૌરવ એક હતો એનો  ય એ લોકોએ નંબર લગાડી દીધો છે. તે મારું તો મન જ કડવું થઇ ગયું. કામકાજમાં ચિત્ત ચોંટે જ નહિ. અમારે એ દિવસે સોફ્ટવેરના ફ્લો ડાયાગ્રામ બનાવીને સબમિટ કરવાના હતા. તે મને કશું કરવાનું ગમે નહિ. મનમાં ઉદ્વેગ એવો હોય કે આ બધું ક્યાં અટકશે?

એનું કારણે ય વ્યાજબી હતું. આમાં જેનો નંબર લાગે એને કાંતો ભારત ભેગા અથવા તાત્કાલિક બીજી જોબ શોધવી પડે. મને એવું કરવાની તૈયારી નહતી. એક બાજુ અમેરિકામાં સેટલ થવાની ઈચ્છા હોય અને બીજી બાજુ જોબનો કોઈ ભરોસો ના હોય (કારણકે સેટલ થવા માટે જોબ રિલેટેડ વિસા જરૂરી છે.) એને કારણે મનમાં પારાવાર તણાવ ઉભો થાય

હવે ઇકોનોમી એટલી ખરાબ કે અમેરિકામાં ક્યાય જોબ જ ના મળે એવું હતું. તમે સવારે સી.એન.એન. ન્યુઝ સંભાળો તો એક જ વાત થતી હોય: આજે મોટર કંપનીએ ૧૫૦૦૦ લોકોને જોબમાંથી છુટા કરવાનું નક્કી કર્યું છે. ટેલીકોમમાં ૧૨૦૦૦, સર્કિટમાં ૧૭૦૦૦ ને એવું સતત ચાલ્યા જ કરે.

એમાં અમારા નોર્ટેલ નંબર ક્યાં હતો? નોર્ટેલે ગજા બહાર લોકોને હાયર કરી નાખ્યા હતા. નોર્ટેલની જાહેરાત જ એવી જોરદાર. મોન્સ્ટર.કોમ વેબસાઈટ આખા અમેરિકામાં લોકોને જોબ આપવાનું કામ કરતી કંપની. એમાં તમે તમારો બાયો ડેટા નાખો એટલે એના થકી તમે ક્યાંકને ક્યાંક ગોઠવાઈ જાવ. તે નોર્ટેલમાં એવા પોસ્ટરો મુકેલા હોય કે અમે “મોન્સ્ટર” એટલે કે મોન્સ્ટર.કોમને ખાઈ ગયા છે હવે બીજું શું ખાઈશું? લોકો એવો જોક કરે કે રસ્તા પરથી પસાર થતો માણસ જો નોર્ટેલમાં પાણી પીવા પણ ગયો હોય તો કંપની એને ય જોબ આપી દેતી હતી.

અને પછી ઇકોનોમી ડાઉન થઇ. તે એક વાર ૧૦૦૦૦ લોકોને છુટા કર્યા પછી બીજી જાહેરાત બીજા ૫૦૦૦ની થઇ. એ કામ ૩ મહિનામાં પતી ગયું. અમને થયું હાશ! હવે શાંતિ. ત્યાતો અઠવાડીયા માં જ બીજા ૫૦૦૦ની જાહેરાત. એટલે અમને થયું કે આ ક્યાં અટકશે? આજુ બાજુ કેટલાયે મિત્રો, રોજ સાથે જમતા ને કામ કરતા એમની જોબ હવે નહતી.

આમારી કંપનીએ સતત લેઓફ ચાલુ રાખ્યા હતા. એનો અંત આવતો જ ના હતો. અમને એનો અંત દેખાતો ના હતો. તમને વર્ષના અંતે પ્રમોશન અથવા બોનસ મળે જ નહિ. તમારી જોબ ચાલુ હોય એ તમારું બોનસ અને પ્રમોશન. એક વર્ષમાં કંપનીએ દસ હજાર, બીજા દસ હજાર અને ત્રીજા પાંચ અને પછી ફરી દસ અને એમ સતત લે-ઓફ કરે રાખ્યા હતા.

એટલે અમે લોકો તો જે કામ હોય એ જરૂર કરતાંયે વધુ ઝડપથી પતાવી દઈએ. ધોરિયા અમેરિકનો (ઘણા ખરા) આરામથી જોબ પર આવે , ને દેસી લોકો આવી જ ગયા હોય કાં તો એટલું બધું રોકાય, કોઈક વાર તો એક દેસી બીજા દેસીને જોઈને જોઈને મોડે સુધી રોકાય. વીક એન્ડ, તે વાંધો જ ક્યાં છે, હું હાજર જ છુ! ત્રણ ઇન્ટીગ્રેશન જોડે કરવાના છે? ચોક્કસ, એમાં પૂછવાનું હોય જ નહિ. નવી જોબ, ફ્રેશ ગ્રેજ્યુએટ અને કામ કરવાનું જોરદાર જોશ. એ બધાનો સરવાળો એ કે એક અઠવાડિયામાં અમે કેટલાયે કલાકો વધારે કામ કરતા (અને ઓવર ટાઈમ કે રાજા જેવું કોઈ જ કમ્પેન્સેશન વગર). અઠવાડિયામાં સામાન્ય રીતે ૪૦ કલાક કામ કરવાનું ઠેરાવેલું હોય એના બદલે ક્યારેક ૬૦, ૭૦ એટલા કલાકો કામ થઇ જતું.

અરે, હદ એટલે સુધી કે કંપની તરફથી બોલિંગ કરવા લઇ ગયા હોય ત્યાં એકાદ-બે જણ પોતાના લેપટોપ લઈને આવ્યા હોય અને પોતાનો વારો આવે એ પહેલા એમાં કશુક કામ કરતા હોય. (દડો ગબડાવીને લાકડાંના નળાકાર સ્તંભો પડી દેવાની રમત)

તે અમારી કંપની દરેક જણને ફ્રી બેકપેક આપતી હતી તમારે એનું ફોર્મ ભરીને તમારા મેનેજરની સહી લઇ લેવાની. તે સતીશ મને કહે કે ના યાર, મારે બેકપેકની ક્યાં જરૂર છે, નકામું કંપની પર બોજો બનવું અને નજરમાં આવી જવું? કે પછી એડોબે સોફ્ટવેરની પ્રોફેશનલ કોપી માટેની મંજૂરી લેવાની હોય. જો અત્યંત જરૂર ના હોય તો કંપનીને નુકશાન શા માટે કરવું, એવી વિચારસરણી.

તે લે-ઓફનો પારાવાર ભય એવો વ્યાપેલો હોય તે લોકો આવું ય કરતા જોવા મળ્યા હતા: ના ભાઈ, તાવ તો આવે, એમાં રજા પડવાની જરૂર શું છે? તે ઘણા લોકો અત્યંત શરદી કે તાવની પરિસ્થિતિમાં જોબ પર જોવા મળે. (ચપટા કે ચાઈનીસ લોકો ય એવા) તે મેં પેલા અનિલને કહ્યું કે તું અત્યારે ઘરે જતો રહે, તારી હાલત તો જો? આંખોમાંથી સતત પાણી જતું હોય ત્યાં તમે શું કોડીંગ કરવાના હતા? પણ એના થકી અનીલ બધાને એવું સાબિત કરવા માંગતો હોય કે એ કેટલો ડેડીકેટેડ એમ્પ્લોયી છે! હવે જયારે આ હદ બહાર જતું રહે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ થઇ જાય. અનિલનો મેનજર કન્ફયુઝ એટલે થાય કે અનીલ કામ કરશે કે એનાથી તાવમાં નહિ થાય?

મારા મનના ઉચાટનો તો પાર નહિ. એક ઉદ્વેગનો પડછાયો પડછાયાની જેમ જ મનમાં સાથે સાથે ફર્યા કરતો હોય. આપણે એમ વિચારીએ કે આપણું પરફોર્મન્સ તો સરસ છે. આપણા પ્રોજેક્ટની પણ જરૂર છે તો આપણો નંબર શી રીતે લાગે? છતાંયે એ સાંત્વન સબ કોન્શિયસ મનને સ્વીકાર્ય હોતું નથી એટલે બુદ્ધિથી આપણે ગમે તેટલું વિચારીને મનને મનાવવાનો પ્રયત્ન કર્યો હોય, ઉચાટ કે ઉદ્વેગ તમારો પીછો છોડે જ નહિ.

અને એટલે થાય એવું કે કામ કરવામાં ચિત્ત ચોંટે નહિ. કામ કરતા કરતા વિચારોની પટ્ટી એવી ફરે કે સતત વિચારોના આક્રમણથી મન થાકે ત્યારે જ સહજ શાંત પડે. અને આવા ઉચાટો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ મનમાં થી કોર્ટીઝોલ નામનુ દ્રવ્ય શરીરમાં ઉત્પન્ન કરે. આ  કોર્ટીઝોલ અને એડ્રિનાલીન ભેગા થાય ત્યારે માણસને કોઈ વિપરીત પરિસ્થિતિ માટે લડવા તૈયાર કરે (ખતરનાક સંયોજન). પણ અહી તો આપણે ક્યાં સિંહ કે વરુ સામે લડવાનું છે? એનાથી શરીરના ધબકારા તેજ થઇ જાય, આંખો અને મન તેજ થઇ જાય, પગ દોડવા માટે તૈયાર થઇ જાય. પણ આપણે જોબ પર એવું બધું કરવાની તો જરૂર ના હોય? પણ સબ્કોન્શીયશ મનને કોણ સમજાવે કે એને જે ઉચાટ (અને હવે ભય) લાગે છે એ સિંહ કે વરુનો નથી!! પણ સબ્કોન્શીયસ્લી આપણે એ સ્વીકારવા તૈયાર જ થતા નથી અને છેવટે સતત વિમાસણમાં અને મૂંઝવણમાં ફસાયેલા રહીએ છીએ. અને  કોર્ટીઝોલ શરીર પર બેફામ વિપરીત અસરો કરે કારણકે તમારે એ દ્રવ્યનો જે હતું હતો પ્રમાણે દોડવાની પ્રક્રિયા કરી નહિ. એટલે એ દ્રવ્ય પડ્યું પડ્યું શરીરમાં ઝેર ફેલાવે.

એટલે એ મુંઝવણ તમને ડીસઓરિયેન્ટેડ કરી મુકે. બહારથી જોનારને એમ લાગે કે અરે આમના જેવું કોઈ મજાનું જીવન છે જ નહિ. પણ અંદરથી તમારે જે સંઘર્ષ થતો હોય એ એવો હોય કે: તમે સવારે ઉઠો, આનંદથી તૈયાર થઈને જોબ પર આવો, કામ કરો પણ સતત મનના ભીતરમાં ભય /અજંપો હંમેશા ચાલુ હોય.

તમારી ભીતરમાં ચાલતો એ સંઘર્ષ શાંત પાડવા ઘણા લોકો કૃત્રિમ આનંદ મેળવવાના પ્રયત્નો કરે. મિત્રો સાથે લાંબી લાંબી વાતો કાર્ય કરે અથવા તો મુવી જોયા કરે કે ટીવી જોયા કરે. મનને સતત પ્રવૃત્તિમાં જકડી રાખે (distraction). જેથી મન બહારથી યાંત્રિક અને ઉપરછલ્લો આનંદ મેળવી શકે પણ અંદરખાનેથી મનને જે ઉચાટ, ઉદ્વેગ અને અજંપો થયા કરતો હોય એ ક્યારેય બહાર આવે નહિ અને માણસ અને બહાર આવવા ના દે અથવા એને બીજી રીતે કહીએ તો: માણસ એ અજંપો અને ઉચાટને અવગણવાનો પ્રયત્ન કરે છે. માણસ એ જાણતો હોય છે કે ઉચાટ થઇ રહ્યો છે છતાંયે એ અજંપા કે બેચેનીને સ્વીકારવા તૈયાર નથી. એનું કારણ એ હોય કે માણસ વિચારી વિચારીને થાકી ગયો હોય પણ એ અજંપાનો ઉપાય મળતો ના હોય. અજંપો જાય નહિ અને ઉપાય મળે નહિ એટલે જેવી હોય એવી પરિસ્થતિને પકડી રાખીને બહારથી હવાતિયા માર્યા કરે. આપણે હિન્દી ફિલ્મના કવિ ગુલઝાર કે આનંદ બક્ષી એવું કહી શકે આમાં માણસ કટકે કટકે મરી રહ્યો છે. (કે પછી તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જો છુપા રહે હો)

અને ધારો કે આ બધામાં કોઈ વ્યક્તિ ઉપાય બતાવે કે શું વિચારવું જોઈએ અને એ ઉપાય ખરેખર અમલી કરી શકાય એવો હોય છતાંયે માણસને જો એ જંચે નહિ (મોટે ભાગે એવું જ થાય) તો બને એવું કે જે લોકો ઉપાય બતાવનારા છે એ લોકો ય એને ના ગમે.

ફાંસીના કેદીઓ જ્યાં સુધી ફાંસી આપાય નહિ ત્યાં સુધી એ વિચાર કરી કરીને એટલા રીબાય કે ઘણીવાર ફાંસીનો સમય આવે એ પહેલા માનસિક રોગોના શિકાર બને. અમુક વાર એવું જોવા મળેલું છે કે એ કેદીઓને એમની ઓરડીમાં ચારે બાજુ ઝેરી જીવડા વીંછી, કરોળિયા અને કાનખજુરા ફરી રહ્યા હોય એવો આભાસ થાય. ખરેખર જીવડા હોય ના પણ એમનું મન ડીસઓરિયેન્ટેડ થઇ ગયું હોય. આ કેદીઓ સાથે ની સરખામણી એ બહુ એક્સ્ટ્રીમ છે છતાંયે કન્સેપ્ટ એ જ છે.

તે આવો ઉચાટ થાય જ શું કામ? કોઈ પણ પ્રકારનો ઉચાટ શા માટે થાય? ઉચાટની જીવનમાં જરૂર જ શું કામ છે? દુનિયાબનાને વાલે, કાહેકો દુનિયા બનાઈ!!!

Posted in Uncategorized | 1 Comment