સિક્સ્થ સેન્સ એટલે શું? હું જયારે ડલાસ ભણવા માટે આવ્યો ત્યારે આ એક નવું મુવી આવ્યું હતું. આમારો એક ભાઈબંધ મને કહે કે આ મુવીનું દિગ્દર્શન એક ભારતીય વ્યક્તિએ કર્યું છે એટલે મને રસ પડ્યો કે આ મુવી તો જોઈએ જ. પણ સિક્સ્થ સેન્સ એટલે શું એ જ ખબર ના પડે. ભારતીય મૂળના એમ. નાઈટ શ્યામલને આ મુવી દિગ્દર્શીત કર્યું છે. મુવી જોવાની ખબૂ મજા આવી.
સિક્સ્થ સેન્સનો અર્થ એવો કે આપણે ભવિષ્યને ભાખી શકીએ. અથવા તો ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી લેવું. તો આપણને કયારેય સિક્સ્થ સેન્સનો અનુભવ થાય ખરો? હકીકતે આ બહુ જ વિવાદાસ્પદ વિષય છે અને એનો કોઈ સાચો કે ખોટો જવાબ નથી.
એક વાર, હું જયારે નવમાં ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલ પર સ્કુલેથી ઘરે આવતો હતો અને મને પાછળથી એક એમ્બસેડર ગાડીએ જોરદાર ટક્કર મારી. મારી સાયકલ આખેઆખી કચડાઈ ગઈ, મને કઈ વાગ્યું નહિ. પણ ત્યારે જ મેં વિચાર્યું કે આજે સવારે નીકળતા પહેલા જ મને એવું થયું હતું કે આજે કદાચ કૈક થશે અને એ આભાસને હું બરાબર કળી ના શક્યો જ્યાં સુધી આવી ગાડી સાથે ટક્કર ના થઇ. પછી મને એવું લાગ્યું કે સવારે જે વિચિત્ર આભાસ થતો હતો એ કદાચ આ એકસીડન્ટ થવાનો સંકેત હતો?
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વિસ્તારપૂર્વકની આત્મ કથા મેં વાંચી હતી. ત્યારે એમાં એક એવી વાત હતી કે રાણી જયારે સવારે ઘોડી પર લડવા નીકળી ત્યારે મનમાં કૈક વિચિત્ર અજંપો હતો અને છેવટે એ દિવસની લડાઈમાં રાણી મૃત્યુ પામી.
એટલે આપણે જો આપણા પૂર્વ અનુભવોને તપાસીએ તો એવું લાગે કે કૈક થવાનું હોય ત્યારે આપણને અજંપો અને એ પ્રકારનો વિચિત્ર આભાસ થાય છે. એ આભાસ આવું કશુક થવાનો સંકેત હશે કે શું?
અંગ્રેજીમાં ગટ્ટ ફીલિંગ્સ કહે છે, કે મારી અંદરની જે પ્રણાલી છે જે મન દ્વારા કંટ્રોલ નથી થતી, ફક્ત એનો સંકેત મળે છે. અને પછી આપણે કેટલીયે વાર જે લાગ્યું હોય કે જેને બરાબર શબ્દોમાં વર્ણવી ના શકાય છતાંયે મનને “ફીલ” થયું એને આધારે નિર્ણય લઈએ છીએ.
કેટલીયે વાર આવું સંભાળવા મળે: “તું માને કે ના માને પણ આ વખતે તો આ નક્કી જ છે” ઘણી વાર આપણને કોઈ મહાન સ્વામી કે બાબા તરફથી એવી પ્રેરણા મળે કે જેનાથી ભવિષ્યમાં શું થવાનો છે એનો સંકેત મળે.
કોઈક વાર મને એવું લાગે કે આત્યારે જે ઘટના હું જોઈ રહ્યો છુ અને અનુભવી રહ્યો છુ એ ફરીથી બની રહી છે અને એટલી હદ સુધી કે હું એવું ભાખી શકું કે હવે ક્રીસ ઉભો થઈને પાણી પીવા જશે. કોઈક વાર મને સ્વપ્ના આવે એ એટલા બધા રીયલ જેવા લાગે કે એમ લાગે કે હવે આવું કઈ થશે. એ ભવિષ્યનો સંકેત મને પહેલથી જ મળી ગયો હતો?
તો વાસ્તવમાં આવા સંકેતો, બાબાના ભવિષ્યો કે હાથની રેખાઓ કે પછી સ્વપ્નની વાતો, ગટ્ટ ફીલિંગ્સ, એ બધું ખરેખર અર્થ પૂર્ણ હશે? મને સાયકલનો એકસીડન્ટ થયો એ દિવસે સવારે મને સ્કુલે જવાની ઈચ્છા ના હતી. મને કશુક થશે એવું લાગતું હતું. પણ હકીકતે એવું તો મને ઘણી યે વાર થતું હોય છે, એ જ દિવસે કઈ ખાસમ ખાસ અજંપો હતો એવું નહતું. છતાંયે બીજા દિવસોએ જયારે અજંપા જેવું લાગે ત્યારે કોઈ જ અસામાન્ય ઘટના એવી બની નહતી.
ઝાંસીની રાણીના ઇતિહાસકારોએ રાણીને એ દિવસે સવારે થતી ઇન્સીક્યોરીટીની વાત ખાસ ભાર આપીને કરી જેથી એમની વાર્તા રસપ્રદ બને. હકીકતે ઝાંસીની રાણીને અજંપો તમામ દિવસે રહેલો હશે.
ઉત્ક્રાંતિના પરિણામે માનવોનું મગજ એટલું જટિલ યંત્ર બન્યું છે કે આજે આપણને એક સાથે હજારો વિચારો આવે, રોજેરોજ માણસ પચાસથી સાઠ હાજર વિચારો કરતો હોય છે. આપણને કેટલીયે પ્રકારના ઈમોશન અથવા લાગણીઓની અનુભૂતિ થાય છે. આનંદિત મન હોય તો ખરાબ ઘટનાને પણ હળવાશથી લઇ લે અને દુ:ખી મને સારી ઘટનાઓ પણ ખરાબ લાગે.
વિચારો અને મનની સ્થતિ એવી કોમ્પ્લેક્ષ પરિસ્થતિ સર્જે કે આપણને વિચિત્ર અથવા ના સમજાય એવી ફીલીંગ અને અજંપો થાય. એટલે એને આપણે ભવિષ્યનો સંકેત માનવા માંડીએ કારણકે ભવિષ્ય અને એના પ્રત્યેની ઇન્સીક્યોરીટી આપણને કશુક થશે એવું માનવા પ્રેરે છે. મૂળે એ ઇન્સીક્યોરીટી કેટલીયે જુદી જુદી જગાએ આવો પ્રભાવ પાડી શકે અને આપણને સિક્ષ્થ્ સેન્સ અંગે વિચારતા કરી દે છે.
આપણને અજંપો કે એવું કૈક થાય ત્યારે કશુક ખરાબ હંમેશા, કોઈ પણ ભૂલ થયા વગર બને જ એવી ગેરંટી ખરી? અને એટલે એવું ખરાબ જો ના બને તો આપણે એમ કહીએ કે પ્રભુની કૃપા છે. આમાં પ્રભુની કૃપા અંગે શંકા નથી. પણ દર વખતે જો અજંપાને આપણે ભવિષ્ય સાથે સાંકળી શકીએ એમ ના હોય તો એ પ્રકારની ફીલીન્ગને મહત્વ આપવાનો શું અર્થ છે? ભવિષ્યમાં એવું સંશોધન થાય પણ ખરું કે મન કઈ રીતે ભવિષ્યને ભાખી શકે છે. પણ મનના ગુઢ વિચારો અને અજંપાને આપણે આજે ભવિષ્યના સંકેતો માનીને કોઈ નિર્ણય કરીએ એ બરોબર નથી.
મોહમ્મદ માંકડ મારા ખુબ જ પ્રિય લેખક છે. એમની એક વાત મેં વાંચી હતી. ગામમાં એક વાર સર્કસના શો જેવું થતું હતું. એમાં એક કુતરો હતો, એટલો બધો ચતુર કે એને જે પણ પ્રશ્ન પૂછવામાં આવે એના આપણું મગજ કામ ના કરે એવી રીતે ઉત્તરો શોધી લાવે. ધારો કે કયા વ્યક્તિની નંબર પ્લેટ ૮૭૪૫ છે? કે પછી કયા વ્યક્તિને ઘરે બે ગાડી છે. કે પછી કઈ વ્યક્તિ અમેરિકાથી આવી છે. તે છેવટે, આ ગામમાંથી કયા વ્યક્તિ નજીકના ભવિષ્યમાં સરકારમાં પ્રધાન થવાના છે? તે એક રાજકીય પક્ષના કાર્યકર્તાને એ કુતરાએ શોધી બતાવ્યા. તે એ ભાઈ તો ઉછાળી જ પડ્યા. એમને એવું લાગ્યું કે એમની વર્ષોની દબાયેલી મહેચ્છા આ કુતરાએ પૂરી કરી છે. અને એમને તો ખેતી, ટ્રેક્ટર બધું છોડીને ફુલટાઈમ રાજકારણમાં જ જંપલાવી દીધું. અને ચૂંટણીમાં ટીકીટ પણ મળી. નસીબજોગે, એમનું આગળ ખાસ કઈ ચાલ્યું નહિ અને છેવટે રાજકારણમાં ખુવાર થઇ ગયા.
આમ ભવિષ્યના સંકેતોના આધારે આપણે ચિંતામાં આવી જઈએ તો એ બરાબર નથી. સંકેતોને કારણે કશુક થવાનું છે એની પાક્કી ગેરંટી હોય તો એવું વિચારી શકાય પણ જો કોઈ ગેરંટી ના હોય તો એ સંકેતને આધારે આપણે ટેન્શનમાં આવી જઈએ એવું શા કારણે થવા દેવું?
આમારા ક્લાસમાં એક છોકરો…અમારા ગુજરાતીના ટીચર કાયમ એમ જ કહે કે ભાઈ તારા વાંકડિયા વાળ અને આંખોનું ઊંડાણ, મોટો થઈને મને તો એમ લાગે છે કે તું આપના કવિ કલાપીને ય પાછળ પડી દઈશ. તે એ ભાઈ ભીત સામયિકના સર્વ સ્વીકાર્ય તંત્રી. બારમાં ધોરણમાં ફેઇલ પણ કવિતાઓ બધે જ મોકલે અને બધેથી સાભાર પરત આવે. આમ તમે કોઈ વાર કારણ વગર કોઈક વાત સંકેત રૂપે સ્વીકારી લો તો વાસ્તવમાં એવું ના યે થાય.
એટલે તમને ભવિષ્યના સાચા-ખોટા, અને ગમે કે ના ગમે એવા સંકેતો કેટલીયે વાર મળ્યા જ કરે. ટેરોટ ડોટ કોમ વેબસાઈટ પર મને એવું લાગે મને ધ્યાનમાં રાખીને જ ભવિષ્ય લખ્યું છે છતાંયે એમાં લખ્યું હોય એના આધારે હું મારો પ્રોગ્રામ બનવાનો પ્રયત્ન કરતો નથી. ભવિષ્યના સંકેતો આવે પણ એ સંકેતોથી કશુક ખાસ થશે જ એની કોઈ ગેરંટી નથી. કોઈ બાબા સંકેત આપે અને એમ ના થાય તો આપણે એમ કહીએ કે જેવી હરિની ઈચ્છા. થાય તો એમ કહીએ કે બાબાએ કહ્યું છે અને ભગવાન પણ રાજી છે. અને બાબા કહે એમ થાય જ એની ગેરંટી કેટલી?
આ બધામાં સંપૂર્ણ રીલાયેબલ અને એકદમ સ્પેસીફિક સુચના મળતી નથી. અને જે સુચના મળે એમાંથી ઘણી જ જાતના અર્થ કાઢી શકાય જે એક બીજાના વિરોધાભાષી હોય. તો શું કરવાનું?
એક લેખમાં વાંચ્યું હતું કે એક ફેમિલીએ માંડ માંડ પૈસા બચાવીને મુંબઈમાં ફ્લેટ લીધો. બે રૂમ અને રસડું. ભગવાનનું મંદિર બેડરૂમમાં રાખ્યો. તો કોઈકે કહ્યું કે બેડરૂમમાં ભગવાનનો રૂમ રખાય નહિ. આગળની રૂમમાં ફાવે એમ હતું નહિ. એટલે પેલા બેન ખુબ મુંઝાયા. એમને એવું થયું કે જો આનો કોઈ ઉપાય નહિ થાય તો ભગવાન ગુસ્સે થશે? આ કોઈ વસ્તુનો સંકેત છે? હકીકતે ભગવાનની ભક્તિ અને કૃપાને ભગવાનનું મંદિર કયા રૂમમાં છે એની સાથે સંબંધ નથી એવું મારું માનવું છે. આપણે ભગવાનની અવગણના નથી કરતા.
એટલે આપણી ગટ્ટ ફીલીંગ ખોટી? મનને કૈક લાગતું હોય એનો કોઈ અર્થ નહિ? વાસ્તવમાં મનને લાગતું હોય એ જો ખુબ જ સ્પષ્ટ ના હોય તો આપણે નિર્ણય હકીકતોને આધારે લેવો જોઈએ. પણ આ સંકેત, સીક્થ સેન્સ એ બધું દર વખતે સુર્ય ઉગે એટલું પ્રીડીકટેબલ હોતું નથી અને એના આધારે નિર્ણય લેવો એટલે ચિંતાને આમંત્રણ આપવા જેવું છે.
જો ઘર આગળથી બિલાડી પસાર થાય છે. તેથી કઈ રીતે કશું ખરાબ બને? પણ તો એ આપણામાંથી કેટલાયે લોકો મને છે. ઘુવડને જોવું, કે છીંકો આવે. પણ એને ભવિષ્ય સાથે કઈ રીતે આપણે સાંકળી શકીએ? અને જો આપણે એવું ઇગ્નોર કરીએ તો સ્ટ્રેસ થાય કે ખરેખર કશું થશે તો?
સ્કુટરનો નંબર તેર છે કે એનો સરવાળો તેર છે તો? કે પછી મારો આ શર્ટ લકી છે એટલે હું હંમેશા પરિક્ષામાં એ જ પહેરીને જઈશ. પણ છતાંયે પેપર સારા ના જાય તો? એવું બની શકે ખરું? લક્કી શર્ટ એટલે પરિક્ષામાં પુરેપુરા માર્કસની ગેરંટી? બિલકુલ જ નહિ. એના થી માર્ક વધુ આવે એમાં થોડી મદદ મળે? એવું કહી શકાય નહિ.
ભગવાનને દર્શન કર્યા વગર એક પણ કામ કરવાનું નથી અને આજે અનિવાર્ય સંજોગોને લીધે ફક્ત પ્રભુને મનોમન યાદ કરી લીધા પણ દર્શન ના કર્યા તો એને કારણે આજે હવે આવું થયું. તો એવું દર વખતે થાય જ એની ગેરંટી? અને કશુક થયું એનું કારણ આ જ છે? અહી હું ભગવાનના દર્શન ના કરવા જોઈએ એવું ક્હેવા નથી માંગતો.
આપણે ત્યાં વાસ્તુ શાસ્ત્ર અંગે ઘણી જ વાતો જાણવા મળે છે. ઘણા લોકો પૂર્વ દિશામાં ઘર ના હોય તો લેવું નહિ એવું નક્કી કરે છે. પણ જે ભાવે પરવડે એવું ઘર જો પૂર્વમાં ના હોય તો? કે પછી ઘરના ગરાજની દિશા અમુક જ હોવી જોઈએ અથવા ચુલાની દિશા. હવે આ વાસ્તુવિજ્ઞાન જ્યારે વીજળી નહતી ત્યારે રચાયું હશે અને ઘણે ખરે ભાગે ઉર્જા બચત માટે ઉપયોગી હશે. પણ આજે વિશ્વમાં બધે જ લોકો વસે છે. ત્યાં વસ્તુના નિયમો દક્ષિણ ગોળાર્ધમાં કઈ રીતે લાગુ પડી શકાય જ્યાં દિશાઓ અને ઋતુઓ અલગ હોય? કે પછી ધ્રુવ પ્રદેશ કે અમેરિકા જ્યાં ઉર્જાની કિંમત અને ઇકોનોમી તદ્દન અલગ રીતે ચાલે ત્યાં આ સિદ્ધાંતો કઈ રીતે ચાલે? આજે કેટલાયે સિદ્ધાંતો નવા સંશોધન સાથે બદલાય છે. તો પછી આ સંશોધનોને બદલવા ના જોઈએ? હવે ઘણીવાર તો લોકો આ જ કારણોસર એવું માને કે આ ઘર લક્કી નથી કે એનાથી મુસીબતો આવે છે. હક્કીકતે આ બધું મને જોડી કાઢેલ હોય છે.
અમારા એક ઓળખીતા બિલ્ડર ભાઈ અમને કહેતા, જો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમના બધા ઘરો વેચાઈ ગયા છે. હવે ખાલી દક્ષિણ વાળા બાકી છે પણ આપનો આઈડિયા રેડી છે. એ ઘરોમાં બારણું સહેજ સાઈડમાં ખસેડીને પૂર્વ તરફ પડી દઈશું. દેખાવ થોડો કઢંગો થશે પણ પછી એ બધાયે વેચાઈ જશે. અને એવા મકાનો લેવામાં પછી કોઈને વાંધો નહિ જો બારણું પૂર્વ દિશામાં ખોલી દો તો. તો એ ઘર હવે અનલકીમાંથી લકી થઇ જાય?
મનની ખૂબી એ છે કે મન જાત જાતની પેટર્ન શોધી કાઢે છે. અને એક વાર મને નિશ્ચય કરી લીધો પછી એને એ નિશ્ચયને આધાર આપતી પેટર્ન શોધવામાં મિલિસેકન્ડનીયે વાર લગતી નથી. એના આધારે તો એક ખુબ જ સરસ પુસ્તક લખાયું છે. એનું નામ છે ટીપીન્ગ પોઈન્ટ. એ પુસ્તકમાં આવી જાત જાતની પેટર્નની વાત કરેલ છે.
આપણને જો એમ લાગ્યું કે આવું આના કારણે થાય છે, બસ. આપણે એમ માનતા થઇ જઈએ કે એવું કરાય જ ના. પણ એમાં મૂળે આપણી ઇન્સીક્યોરીટી રહેલી છે. આપણને અસલામતીની ભાવના સતત રહે છે. હક્કીકતે અસલામતીની ભાવના એ ઉત્ક્રાંતિનું મહત્વનું પરિબળ છે. નહીતર આપણો વિકાસ જ થાય ના. ક્યારે અસલામતી સેન્સ કરાવી એ જીવવા માટે ખુબ જરૂરી છે. પણ એને આપણે જયારે કારણ વગર અને વધુ પડતી મહત્વ આપી દઈએ ત્યારે રૂટીન લાઈફમાં ઘણી જ અડચણો આવી જાય અથવાતો રૂટીનને તોડીને આગળ જવાનું શક્ય જ ના બને.
મને જયારે ગાડી લેવી હતી ત્યારે મારાથી નક્કી નહતું થઇ શકતું કે જે ગાડી નક્કી કરી એ બરાબર છે કે નહિ. ગાડીની કિંમત સાડા પાંચ હજાર ડોલર ઠરાવી હતી, પણ એનું ચેકિંગ કેમનું કરીશું અને એવા કેટલાયે પ્રશ્નો મનમાં હતા. ગાડી વેચવા વાળો કોઈ ચાઈનીઝ વ્યક્તિ હતો એને મને કહ્યું કે હું કાલે સવારે દસ વાગે ફોન કરીશ. તે એનો ફોન સવા દસ સુધી આવ્યો નહિ, તો આપણને એમ થાય કે હાશ, શાંતિ. હવે આ નિર્ણય નહિ કરવો પડે અને છુટ્યા. પણ એનો દસને વીસે ફોન આવી ગયો. તો આ પણ એક પ્રકારની ઇન્સીક્યોરીટી જ છે.
કેટલીયે મોટી ઘટનાઓ બનવાની હોય, જેની આપણે રાહ જોતા હોઈએ એ પહેલા આપણને પાર વગરનો અજંપો થાય છે. આપણને એવું થયા કરે કે આ સફળતા પૂર્વક પાર પડશે કે નહિ. એને કારણે આપણે કેટલીયે મોટી વસ્તુ કે મોટા ડીસીઝન એવોઈડ કરીએ છીએ.
આપણને લોકોને એક વસ્તુ સરસ આવડે છે કે જીવનને સ્થિર કઈ રીતે કરવું. એટલે આપણે લોકો એક સ્થિર નોકરી શોધીએ જેમાં ભયાનક માથાકૂટ ના હોય અને દર મહિને પગાર આવ્યા કરે. રોજ સવારે જવાનું, કામ કરવાનું અને પાછા ફરવાનું. અને એવી જ રીતે પરિવારને પણ શક્ય એટલો સ્થિર રાખવાનો પ્રયત્ન કરીએ. અને એવું કરવામાં આપણે સફળ પણ ખુબ થઇએ છીએ.
પણ કશુક નવું કરવાનું આવે એટલે આપણે ઇન્સીક્યોર થઇ જઈએ છીએ. એ નવું સ્ટેપ કે એની ઇન્સીક્યોરીટી કેટલાયે સ્વરૂપે આપણી સામે આવે છે: ભાવિનો સંકેત, બિલાડી પસાર થવી, ભગવાનની સેવામાં કોઈક ભૂલ થવી, વાસ્તુ શાસ્ત્રના નિયમો, સ્વામી બાબાનો અભિપ્રાય… આ બધું આપણા મનમાં ફડક ઉભી કરે અને એવી ફડક ઉભી કરે એ આપણે એક ડગલું લેતા લેતા એવા ડરીએ કે જાણે પગમાં વીસ વીસ મણના વજનીયા બાંધ્યા હોય. પણ ઇન્સીક્યોરીટીને સમજી અને એનો વ્યવસ્થિત પ્રયોગ કરવાથી કારણ વગરનો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.
ઇન્સીક્યોરીટીને સમજી અને એનો વ્યવસ્થિત પ્રયોગ કરવાથી કારણ વગરનો સ્ટ્રેસ ઓછો કરી શકાય છે.
————-
સરસ, ઉપયોગી સાર કાઢ્યો.